વડાપ્રધાન મોદીએ ૭૯મી વખત મન-કી-બાત થકી દેશવાસીઓને સંબોધ્યા
કોરોના ગયો નથી, તહેવારોની ઊજવણી કરતા ધ્યાન રાખજો : મોદી
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૭૯મા કાર્યક્રમમાં રાષ્ટ્રની જનતા પાસે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ૨૭ જૂનના રોજ વડાપ્રધાન મોદીએ ગત ’મન કી બાત’ના સંબોધનમાં લોકોને રસી લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રસી લીધા બાદ ઘણા લોકોને થોડા કલાકો માટે નજીવો તાવ આવે છે. આવા કપરા સમયે રસી ન લેવી તે તમારા પરિવાર અને ગામ માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ૭૯મી મન કી બાતમાં ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૦માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ટીમનો ઉત્સાહ વધારવા માટે પણ લોકોને તાકીદ કરી હતી.
વડાપ્રધાન મોદીએ ૭૯મી મન કી બાતમાં જણાવ્યું કે, આવનારા તમામ તહેવારો માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું. તહેવારો અને ઉમંગ વચ્ચે યાદ રાખજો કે, કોરોના હજૂ ગયો નથી. તહેવારોની ઉજવણી વચ્ચે કોરોના ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી બચાવવા અને પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવાને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવા માટે વિનંતી કરી છે. આપણે આપણી આવનારી પેઢી માટે પાણી બચાવવાની જરૂર છે. પાણીનું દરેક ટીપુ કિંમતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ્યોર્જિયામાં યોજાયેલો એક પ્રસંગ યાદ કર્યો હતો. જેમાં વદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા સેન્ટ ક્વીન કેટેવનનો અવશેષ જ્યોર્જિયન સરકારને આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પ્રસંગ દરમિયાન ભારત માટે કેટલાક ખૂબ પ્રશંસાત્મક શબ્દો કહેવામાં આવ્યા હતા જે હંમેશા યાદગાર રહેશે.
મોદીએ જણાવ્યું કે, હવે મણિપુરના ઉખરુલમાં સફરજનની ખેતી જોવા મળી રહી છે. જ્યાંના ખેડૂતો બગીચામાં સફરજનની ખેતી કરી રહ્યા છે. આ લોકો હિમાચલ પ્રદેશમાં અનુરૂપ તાલીમ લેવા માટે ગયા હતા. આ લોકોમાં ટીએસ રિંગફામિ યંગ છે. જે વ્યવસાયથી એરોનોટિકલ એન્જિનિયર છે.
Other News : બાળકો પર કોરોના વેક્સિનના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઇ શકે : AIMS ડાયરેક્ટર