ચીન સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા તે સ્થળની મુલાકાત લીધી…
આઈટીબીપી લશ્કર, વાયુસેનાના જવાનોને મળ્યા: વડાપ્રધાનના પ્રવાસમાં સીડીએસ જનરલ બિપીન રાવત પણ જોડાયા…
નવી દિલ્હી : પૂર્વ લદાખમાં વાસ્તવિક અંકુશ રેખા ખાતે ચીન સાથે ગતિરોધ જારી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક લેહ દોડી ગયા છે. ત્યાં તે સરહદની સ્થિતિની માહિતી મેળવશે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત પણ ગયા છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ વડાપ્રધાનને 14 કોર અધિકારીઓ દ્વારા તે પૂર્વ લદાખ સેક્ટરમાં વર્તમાન સ્થિતિની જાણકારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 15 જૂને ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં હિંસક ઝપાઝપી થઇ હતી અનેતેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. સામા પક્ષે પણ 40 સૈનિકો માર્યા ગયા હતા.
આ હિંસક અથડામણ પછી બન્ને પક્ષો એલઓસી ખાતે પોતપોતાની સ્થિતિ મજબૂત રકવા લાગ્યા હતા. ભારતને એલઓસી ખાતે, ખાસ કરીને ગલવાન ખીણના ફિંગર વિસ્તારમાં શસ્ત્રો અને સૈનિકોને પૂરી તાકાતમાં ગોઠવ્યા છે તો ભારતે પણ હોવિત્ઝર તોપો અને ટેન્ક બટાલિયન તહેનાત કરી છે. તંગદિલી વચ્ચે બન્ને દેશોના લશ્કરી કમાંડરો વચ્ચે ત્રણ વાર બેઠક યોજાઈ ચૂકી છે.
છેલ્લી બેઠકમાં તંગદિલી હળવી કરવા અને દળો પાછા ખેંચવા સમજૂતી સધાઈ હતી, અને એ માટેનું તબક્કાવાર સમયપત્રક નક્કી કરવા આગામી દિવસોમાં લશ્કરી અને રાજદ્વારી સ્તરે મંત્રણા માટે બંને પક્ષો સંમત થયા છે.
ભારતે પણ 20 જવાનોની શહીદીનો બદલો લેવા ડીજીટલ સ્ટ્રાઈક કરી 59 ચીની એપ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એ ઉપરાંત ચીન સામે આર્થિક નાકાબંધી કરવાની યોજનાના ભાગરુપે ચીનથી આયાત ક્રમશ: બંધ કરવા તૈયારી થઇ રહી છે.