ગાંધીનગર : ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વર્ષોથી કોઈ ભરતી પ્રકિયા જ નથી થઇ. રાજ્યના ૩૩ માંથી ૨૬ જિલ્લામાં ઇન્ચાર્જ અધિકારી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ખુદ રાજ્યના મુખ્ય કમિશ્નર એસ.જી. કોશીયાં પણ ચાર્જમાં જ છે. રાજ્યનો મહત્વનો ગણી શકાય તેવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભરતી પ્રકિયા નથી થતી જેના કારણે રાજ્યના ૩૩માંથી ૨૬ જિલ્લામાં ઇન્ચાર્જ અધિકારી છે. જ્યારે માત્ર ૭ જિલ્લામાં જ અધિકારી છે. જેમાં અમદાવાદ ઝોન-૧, અમદાવાદ ઝોન-૨, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, સુરત, વલસાડ, જૂનાગઢમાં જ અધિકારી નિયુક્ત કરાયા છે. જ્યારે બાકીના ૨૬ જિલ્લાઓમાં કોઈ અધિકારી જ નથી.
રાજ્યમાં હાલ કોરોના મહામારીના કારણે સૌથી મોટી જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આવે છે. તેવામાં દવાની ગુણવત્તા, વેચાણ, અને કિંમત ચકાસવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે પૂરતા અધિકારીઓ નથી. થોડા સમય પહેલાં જ દવા અને સેનેટાઈઝરના સેમ્પલ મોટી સંખ્યામાં ફેલ થયા હતા. આ સેમ્પલનો રિપોર્ટ આવ્યો તે પહેલાં નકલી સેનેટાઈઝર રાજ્યભરની મોટી સરકારી હોસ્પિટલો સહિત અનેક સરકારી વિભાગો તેમજ અન્ય જગ્યાઓમાં યુઝ થઈ ચૂક્યા હતા. મહત્વની વાત તો એ છેકે રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની મોટી અછત છે.
અપૂરતા સ્ટાફ સાથે ચાલતા આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વહીવટ અધ્ધર તાલ ચાલે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી અધિકારીઓની બઢતી પણ કરવામાં આવી નથી. સાથે જ અનેક ઉચ્ચ અધિકારીઓ નિવૃત્ત થયા પછી પણ જેતે જગ્યા ઉપર એક્સટેશન આપવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વર્ષોથી એકને એક અધિકારીઓ હોવાથી ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. આખા સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે માત્ર એક જ ફૂડ એન્ડ ડ્રગ્સ આસી.કમિશ્નર છે. જ્યારે ઉત્તર ગુજરાતમા એક પણ ફૂડ એન્ડ ડ્રગ્સ આસી.કમિશ્નર નથી.