અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ કોરોનાના સંદર્ભમાં આપી ટિપ્સ…
જાહેરમાં માસ્ક પહેરતા શીખવું પડશે, દુકાનોમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે…
અમદાવાદ : રાજ્યમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાની બીમારીને મ્હાત આપનાર લોકો એટલે કે ડિસ્ચાર્જ થવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. સાથે જ તેમણે લૉકડાઉન ખુલ્યા બાદ સિનિયર સિટિઝન તેમજ હાર્ટ, ડાયાબિટિસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય તેમનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી. આ સાથે જ લોકો અત્યારથી જ તૈયાર રહે તે માટે તેમણે કેટલાક સૂચનો કર્યા છે જેનું આગામી દિવસોમાં પાલન કરવું પડશે. તેમને કહેવા પ્રમાણે કોરોના સામે જંગ જીતવા માટે હવે આપણી આદતો બદલવી પડશે.
કોરોનાથી બચવા લૉકડાઉન ખુલ્યા બાદ આટલી વાતનું પાલન કરવું પડશે :-
જાહેરમાં માસ્ક પહેરતા શીખવું પડશે : લૉકડાઉન ખુલ્યા બાદ હવે તમામ લોકોએ માસ્ક પહેરતા શીખવું પડશે. આ માસ્ક સાદા કપડાંથી ઘરે બનાવ્યું હશે તો પણ ચાલશે. આ સાથે જ લોકોને માસ્કનું ઉત્પાદન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદનું તંત્ર પણ એવા પ્રયાસો કરી રહ્યું છે કે જેનાથી માસ્ક ઉપલબ્ધ થાય. મ્યુનિસિપલ કમિશનર નહેરાના જણાવ્યાં પ્રમાણે આગામી અનેક મહિનાઓ સુધી હવે આપણે નાક અને મોઢું ઢાંખવાને આપણી આદત બનાવવી પડશે.
દુકાનોમાં સેનિટાઇઝરની વ્યવસ્થા : લૉકડાઉન બાદ દુકાનો ખોલવામાં આવે ત્યારે દુકાનદારોએ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે વેપારીઓ અત્યારથી જ વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે. દુકાન કે સ્ટોરમાં કોઈ વ્યક્તિ સામાનને હાથ લગાડે તે પહેલા તેમને હાથ સેનિટાઇઝરથી સાફ કરવાનું કહેવાનું રહેશે. આ ઉપરાંત દુકાનદારોએ પણ વારેવારે હાથ ધોવા પડશે અથવા સેનિટાઝરનો ઉપયોગ કરીને તેમના હાથ સાફ કરવા પડશે.
જાહેરમાં થૂંકવા બદલ આકરી કાર્યવાહી : વિજય નહેરાના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન ખુલ્યા બાદ જાહેરમાં થૂંકવાની કુટેવને સંપૂર્ણ રીતે બંધ કરવી પડશે. આ માટે લૉકડાઉન ખુલશે ત્યારબાદ ભારે દંડ વસૂલ કરવા માટે ટીમો ગોઠવવામાં આવશે. સાથે જ તેમણે તમામ લોકોને આ બાબત અંગે ચર્ચા અને વિચારણા કરવાનું કહ્યું છે.
ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં મુસાફરી : સામાન્ય રીતે ટુ-વ્હીલર અને કારમાં એકથી વધારે લોકોને મુસાફરી કરવા ટેવાયેલા છે. પરંતુ લૉકડાઉન ખુલ્યા બાદ ટુ-વ્હીલરમાં ફક્ત એક જ વ્યક્તિ અને કારમાં એક કે બે વ્યક્તિ મુસાફરી કરે તેમ જણાવવામાં આવ્યું છે. સાથે જ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન ખુલે તે પહેલા જ લોકો જાગૃત બને તે જરૂરી છે.