ન્યુ દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચની શરૂઆત થઈ રહી છે. સિરીઝ શરૂ થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું કહેવું છે કે ઈંગ્લેન્ડ ટીમ પાસે જે સ્પિન બોલિંગ આક્રમણ છે તે જોતા તેને લાગતું નથી કે ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ જીતવામાં સફળ રહેશે.
ઈંગ્લેન્ડની ટીમમાં સ્પિન બોલિંગમાં મોઈન અલી, ડોમ બેસ અને જેક લીચ સામેલ છે. આ ત્રણ સ્પિનરમાંથી એકમાત્ર મોઈન અલી જ અનુભવી છે. મોઈન અલીએ ૬૦ ટેસ્ટમાં ૧૮૧ વિકેટ ઝડપી છે. જ્યારે બેસ અને લીચ ૧૨-૧૨ ટેસ્ટ રમ્યા છે અને અનુક્રમે ૩૧ અને ૪૪ વિકેટ ઝડપી છે. ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ પાસે જે સ્પિન બોલિંગ આક્રમણ છે તે જોતા મને નથી લાગતું કે તે એક પણ ટેસ્ટ જીતી શકશે.
ગંભીરે જણાવ્યું હતું કે ભારત ૩-૦થી કે પછી કદાચ ૩-૧થી જીતી શકે છે. હું પિંક બોલ ટેસ્ટમાં બંને ટીમો પાસે તક રહેલી છે. ડે-નાઈટ ટેસ્ટની પરિસ્થિતિ જોતા ઈંગ્લેન્ડ પાસે જીતવાની ૫૦ ટકા તક રહેલી છે.
ભૂતપૂર્વ ઓપનરે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે શ્રીલંકામાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ૨-૦થી જીતી હતી પરંતુ ભારતમાં તેને તેનાથી તદ્દન વિરુદ્ધ પડકારનો સામનો કરવો પડશે. જો રૂટને અહીં અલગ જ પડકારનો સામનો કરવો પડશે. શ્રીલંકામાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ જ્યારે તમે કોઈ પણ વિકેટ પર જસપ્રિત બુમરાહનો સામનો કરો છો અથવા તો ઓસ્ટ્રેલિયામાં પ્રભાવશાળી પ્રદર્શન કરનારા તથા આત્મવિશ્વાસથી ભરેલા અશ્વિનનો સામનો કરો છો ત્યારે તે તદ્દન અલગ જ પડકાર હોય છે.