શ્રીનગર : જમ્મુ કશ્મીરમાં આજે શનિવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બે અજાણ્યા આતંકવાદી ઠાર થયા હતા.
સિક્યોરિટી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ કુલગામના ચીનીગમ વિસ્તારમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળતાં સિક્યોરિટી દળો ત્યાં ધસી ગયા હતા અને આતંકવાદીઓને પડકાર્યા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કરતાં સિક્યોરિટીએ જવાબી ગોળીબાર કર્યા હતા જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ લખાઇ રહ્યું હતું ત્યારે પણ સિક્યોરિટી અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતા.
અથડામણ હજુ ચાલુ હોવાથી માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પર કબજો મેળવી શકાયો નહોતો અને તેમની ઓળખ થઇ શકી નહોતી. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ અને સિક્યોરિટીએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ છૂપાયેલા હતા એ સ્થળે સિક્યોરિટી દળો પહોંચ્યાં હતાં અને આતંકવાદીઓને પડકાર્યા હતા.
પાકિસ્તાનનો એલઓસી પર સીઝફાયર ભંગ, નાગરિકોને નિશાન બનાવ્યા
પાકિસ્તાની લશ્કરે લાઈન ઓફ કંટ્રોલ નજીકના વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હોવાનું લશ્કરના અધિકારીએ જણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના બે સેક્ટરમાં આંતરાષ્ટ્રીય સરહદ નજીક શનિવારે સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો હતો.
ભારતીય લશ્કર દ્વારા પાક.ની કરતૂતનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ સીઝફાયર ઉલ્લંઘનમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. રક્ષા વિભાગના પ્રવક્તાના મતે શનિવારે રાત્રે ૧.૩૦ કલાકે પાકિસ્તાને બિનઉશ્કેરણી સાથે સીઝફાયર કર્યું હતું. નાના હથિયારો અને મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માકોટે અને પૂંછ ક્ષેત્રમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય લશ્કરે પણ વળતો જવાબ આપ્યો હતો. પોલીસ અધિકારીના મતે ભારે ગોળીબારને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સવારે ૪.૩૦ કલાકે ફાયરિંગ બંધ થયું હતું.
પાકિસ્તાન દ્વારા કરાયેલા શીઝફાયરમાં ૪૦ વર્ષીય મહિલા હામિદા બીને ઈજા પહોંચી હતી. જો કે તેને પ્રાથમિક સારવાર અપાતા તે ખતરા બહાર હોવાનું જણાયું હતું. બોર્ડર નજીક કસ્બામાંર હેતા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાતથી શનિવારે પરોઢીયા સુધી સામસામે ગોળીબાર ચાલુ રહ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.