થરાદ : કોરોના વાયરસના ખતરા વચ્ચે સરકારે કોરોના ગાઈડલાઈન બનાવી છે, તેમ છતાં એક પછી એક ગુજરાતી કલાકારો કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે. બનાસકાંઠાના થરાદના વડગામડામાં કોરોના સંક્રમણ વચ્ચે મધરાત્રે ડાયરો જામ્યો હતો. જેમાં ગામના લોકો સહિત આસપાસના ગામડાંમાંથી અનેક લોકો ભેગા થયા હતા. ડાયરામાં બેઠેલા તમામ લોકોએ જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ કોઈએ મોઢે માસ્ક પહેર્યા વગર, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ડાયરાની મોજ માણી હતી. આ ડાયરાની મોજ કરાવવા માટે ગુજરાતી લોકગાયિકા વનિતા પટેલ સહિત ૧૦ કલાકારો હાજર હતા. ડાયરાના આયોજક ધનજી ચૌધરીએ માફી માગી હતી અને કહ્યું કે, મારો કોઈ વાંક નથી, મે લોકોને માસ્ક આપ્યા હતા, પરંતુ લોકોએ તે પહેર્યા નહોતા. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ડાયરાના આયોજક ધનજી ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે શહેરોમાં મોટા પ્રસંગોમાં પોલીસની હેરાનગતિથી હવે ગુજરાતી કલાકારોએ ગામડામાં લગ્ન પ્રસંગ, વરઘોડા અને ડાયરાઓ કરવાનું શરૂ કર્યું છે, જેમાં એક પછી એક ગુજરાતી કલાકારો કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે.
સમગ્ર મામલો સામે આવતા પોલીસે ધનજી પટેલની ધરપકડ કરી છે. પોલીસે ડાયરાના આયોજક સહિત ૧૨ સામે ગુનો નોંધ્યો છે. જિલ્લા પોલીસ વડાએ એક પીએસ આઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. પોલીસની જાણ છતા યોજાયેલા આ ડાયરા અંગે અહેવાલ બતાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આયોજક સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા આદેશ કર્યો.
બનાસકાંઠાના થરાદના વડગામડા ગામે કોરોના કાળ વચ્ચે બરાબરનો ગુજરાતી ડાયરો જામ્યો હતો. આ ડાયરામાં લોકોને મોજ કરાવવા માટે ગુજરાતી લોકગાયિકા વનીતા પટેલ, સુરેશભાઈ કાપડી, ઇશ્વરદાન ગઢવી સહીત ૧૦ કલાકારો સ્ટેજ પર હાજર રહ્યા હતા. એટલું જ નહીં, સ્ટેજ ઉપર પણ ગુજરાતી ડાયરામાં કલાકારો અને સાથી લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. હવે ગામડામાં ડાયરો હોય અને લોકો ના આવે તેવું બને ખરું, જેથી આ ડાયરામાં ગામના તમામ લોકો, આસપાસના ગામડામાંથી ડાયરા પ્રેમી લોકો હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરીને જોવા આવ્યા હતા, જ્યાં કોરોના સાવ ભૂલાઈ ગયો હતો.
લોકોએ વચ્ચે ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઇનના નિયમો જોવા મળ્યા નહોતા. સરકારે બનાવેલી કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ધડાગરા ઉડાવ્યા હતા. આ ડાયરો વડગામડા ગામે ધનજી પટેલના સંચાલનમાં કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં મજાની વાત તો એ છે કે, પ્રસંગને દિપાવવા મુખ્ય અતિથિ તરીકે ભાજપ-કોંગ્રેસના ૬ ધારાસભ્ય, ૧ સાંસદ અને પૂર્વ સાંસદનું નામ હતું. આ બધા નેતાઓને પત્રિકા મળી તો એમાં ૧૦ કલાકારોનો ડાયરો હતો તે અંગે જાણ હોય જ તે સ્વાભાવિક છે. તેમ છતાં એક પણ નેતાએ પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે ડાયરાનું આયોજન મોકુફ રાખવાની અપીલ કેમ ન કરી? તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.