વડોદરા : ભારત સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટિ ઓફ ઈન્ડિયાએ એક નોટિફીકેશન બહાર પાડયુ હતુ. જેથી આજથી (૧લી ઓક્ટોબર) તેનો અમલ કરાશે. રાજ્યમાં મીઠાઈ-ફરસાણની અનેક દુકાનો છે. જ્યાં વેચાતી છૂટક મીઠાઈના બોક્સ અને પેકેટ પર હવે બેસ્ટ બીફોર ડેટ લખવી ફરજિયાત કરી દેવાયુ છે. તેમજ મેન્યુફેક્ચરીંગ ડેટ દર્શાવવી મનજીયાત રાખવામાં આવી છે. આજથી તેનો અમલ કરાશે. જે અમલવારીની સાથે ખોરાક શાખા દ્વારા ચેકિંગ પણ શરૂ કરાશે. જો નિયમનો ભંગ થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
વડોદરાના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણની નાની મોટી થઈને ૩૦૭ ઉપરાંત દુકાનો આવેલી છે. જ્યાં દુકાનના એન્ટ્રન્સમાં જ કાંચના ડીસ્પ્લેમાં મીઠાઈ ગોઠવેલી હોય છે. છૂટક મીઠાઈ વેચતી આ દુકાનો વજન કરીને બોક્સ કે થેલીમાં મીઠાઈ આપી દે છે. જોકે, હવે તે છૂટક મીઠાઈના પેકેટ્સ કે બોક્સ પર બેસ્ટ બીફોર ડેટ દર્શાવવી ફરજિયાત કરી દેવાઈ છે. એટલે કે મીઠાઈનું ડીસ્પ્લે કાઉન્ટર હોય તો તેમાં રહેલી મીઠાઈની ટ્રે પર કિંમતની સાથે બેસ્ટ બીફોરની ડેટ પણ દર્શાવવી પડશે.
આજથી આ નિયમનો અમલ થવાનો છે તેમજ ખોરાક શાખા દ્વારા શહેરની મીઠાઈની દુકાનો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવનાર હોવાનુ અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે જણાવ્યું હતું. એટલુ જ નહીં, જો મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ લખેલી નહીં હોય તો તેવા દુકાનદાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરાશે.