સાઉથમ્પ્ટન : સતત બે વર્ષથી જે ટ્રોફીની પાછળ ટીમ ઇન્ડિયા ભાગી રહી હતી તે હવે તેમની પહોંચથી દૂર થઇ ચૂકી છે. કારણ કે વર્લ્ડ ક્રિકેટને ન્યૂઝીલેન્ડ તરીકે તેનો પહેલો ટેસ્ટ ચેમ્પિયન મળી ચૂકયો છે. આ ખિતાબી મુકાબલો કેન એન્ડ કંપનીએ વિરાટ સેનાને આઠ વિકેટથી હરાવી જીતી લીધો. તો બીજીબાજુ ભારતીય ટીમ માટે આ નાજુક પળ છે. ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. સામે ઇંગ્લેન્ડનો પણ પડકાર છે. આની પહેલાં કેપ્ટન કોહલી પોતાની સેનાનું મનોબળ મજબૂત કરવા માંગી રહ્યો છે. ત્યારે તેણે દુનિયાની સામે આ મેસેજ આપ્યો.
કારમી હારના બરાબર બીજા દિવસે ગુરૂવાર રાત્રે તેણે ટ્વીટ કર્યું, આ માત્ર એક ટીમ નથી, પરંતુ પરિવાર છે. અમે સાથે આગળ વધીએ છીએ. આગળ તેમણે વાદળી દિલ અને તિરંગો પણ મૂકયો. મતલબ સ્પષ્ટ છે કે રન મશીન કોહલી વિશ્વને એ સંદેશો આપવા માંગે છે કે કારમી હાર બાદ મળેલા ઝાટકાથી ધીમે-ધીમે ભારતીય દળ ઉભરી રહ્યું છે અને હવે દરેક પરિસ્થિતિમાં પોતાના ખેલાડીઓની સાથે ઉભો છે.
ભારતીય ખેલાડીઓએ જ્યાં આ મેચની પહેલી ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું ત્યાં બીજી ઇનિંગ્સમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું. બેટિંગ કરી ભારત માત્ર ૧૭૦ રન પર સમેટાઇ ગયું. ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા જેવા મોટા-મોટા ખેલાડીઓ ચાલ્યા નહીં. તો બોલિંગની વાત કરીએ તો અશ્વિનને છોડીને એક પણ બોલર્સ આશાઓ પર ખરા ઉતર્યા નહીં. શમી, બુમરાહ, ઇશાંત અને જાડેજા જેવા બોલર્સ ભારતને આ મેચમાં સફળતા મળી નથી. આ હારની સાથે જ ટીમ ઇન્ડિયાનું વધુ એક સપનું રોળાઇ ગયું.