ન્યુ દિલ્હી : થોડા દિવસ પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સના ૧૩ સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા, જે બાદ આઈપીએલ રમવા ગયેલી ટીમોમાં સંક્રમણને લઈ ડરનો માહોલ ઉભો થયો છે. જણાવી દઈએ કે, ચેન્નાઈના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ ૧૪ દિવસ સુધી ક્વોરન્ટીન રહ્યા બાદ નેગેટિવ આવ્યો છે. જ્યાં સીએસકેના સભ્યો નેગેટિવ આવ્યા છે તો હવે દિલ્હી કેપિટલ્સની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના આસિટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેને ટીમના બાકી સભ્યોથી અલગ કરીને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે,
તેઓનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે, ફ્રેન્ચાઈઝી તરફથી કહેવાયું છે કે આ સભ્યના પ્રથમ બે કોરોના ટેસ્ટ નેગેટિવ હતા પણ ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી આવેલાં નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ફિઝિયોથેરાપિસ્ટ પોઝિટિવ આવ્યા પહેલાં કોઈ ખેલાડીને મળ્યો ન હતો. પોઝિટિવ આવેલાં આસિટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ હાલ ડોક્ટરની સારવાર હેઠળ છે. અને ફ્રેન્ચાઈઝીની મેડિકલ ટીમ દરેક પ્રકારની દેખરેખ રાખી રહી છે. જણાવી દઈએ કે, આઈપીએલ ૨૦૨૦ શિડ્યુલની ઘોષણા કરી દેવામાં આવી છે.
પહેલી મેચ સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જ્યારે દિલ્હીની પહેલી મેચ ૨૦ સપ્ટેમ્બરે કિંગ્સ ઈલેવન પંજાબ સામે છે. ગત સિઝનમાં દિલ્હીની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રીજા નંબરે રહી હતી. આ વખતે દિલ્હી ફ્રેન્ચાઈઝીમાં અશ્વિન અને રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સિઝનમાં શ્રેયસ ઐય્યર દિલ્હીની ટીમનો કેપ્ટન છે.