એલએસી પર તણાવ વચ્ચે લેહ મુલાકાતે પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહનો હૂંકાર…
કોઈ આંખ ઉઠાવીને જુઓ તો તેને મુંહતોડ જવાબ આપીશું,ગલવાનમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય…
રાજનાથ સિહની સમક્ષ પેરા કમાન્ડોએ પેન્ગોન્ગ લેકની પાસે યુદ્ધ અભ્યાસ કરી પોતાની તાકાત દર્શાવી, આજે શ્રીનગરની મુલાકાત લેશે…
લેહ : રક્ષામંત્રી રાજનાથ સિંહ પોતાની બે દિવસની મુલાકાત પર લેહ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે લેહના સ્તાકનમાં ભારતીય સેનાના એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો. સ્તાકનામાં ભારતીય સેનાના ખાસ કાર્યક્રમમાં જવાનોએ પેરા ડ્રોપિંગ અને અન્ય કરતબોથી શક્તિનું ખાસ પ્રદર્શન કર્યું. આ દરમ્યાન સેનાના અધિકારીઓની સાથે રક્ષામંત્રી ખુદ એક રાઇફલથી નિશાન લગાવતા દેખાયા.
લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની મુલાકાતે પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે જવાનોને સંબોધતાં કહ્યું કે ભારતની એક ઇંચ જમીનને કોઇ લઇ શકતું નથી. ભારતીય સેનાની ઉપર આપણને ગર્વ છે. હું જવાનોની વચ્ચે આવીને ગૌરવ મહેસૂસ કરી રહ્યો છું. આપણા જવાનો શહીદ થયા છે. તેનું દુઃખ ૧૩૦ કરોડ ભારતવાસીઓને પણ છે.
લેહની લુકુંગ ચોકી પર પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં જે પણ વાતચીતની પ્રગતિ થઇ છે તેના પરથી મામલાનો ઉકેલ આવવો જોઇએ. કયાં સુધીમાં ઉકેલ આવશે તેની ગેરંટી નથી. પરંતુ એટલો વિશ્વાસ હું ચોક્કસ અપાવા માંગું છું કે ભારતની એક ઇંચ જમીન પણ દુનિયાની કોઇ તાકાત અડી શકે તેમ નથી, તેના પર કોઇ કબ્જો કરી શકે તેમ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત છે. તેને કોઈ સ્પર્શ પણ કરી શક્શે નહીં.
જવાનોને સંબોધિત કરતાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જે આખા વિશ્વને શાંતિનો સંદેશો આપે છે. આપણે કોઇ પણ દેશ પર કયારેય આક્રમણ કર્યું નથી અને ના તો કોઇ દેશની જમીન પર આપણે કબ્જો કર્યો છે. ભારતે વસુધૈવ કુંટુંમ્બકમનો સંદેશ આપ્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આપણે અશાંતિ ઇચ્છતા નથી આપણે શાંતિ ઇચ્છીએ છીએ. આપણું ચરિત્ર રહ્યું છે કે આપણે કોઇપણ દેશના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની કોશિષ કરતા નથી. ભારતના સ્વાભિમાન પર ચોટ પહોંચાડવાની કોશિષ કરી તો આપણે કોઇપણ સૂરતમાં સહન કરીશું નહીં અને જડબાતોડ જવાબ આપીશું.
આજે એટલે કે શનિવારે રક્ષામંત્રી શ્રીનગરની મુલાકાત લેશે. આ પહેલાં રાજનાથ સિંહ ૨ જુલાઈએ લદ્દાખની મુલાકાતે જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવામાં આવી હતી. તેના બીજા દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. મોદીએ ચીન સાથેની ઝપાઝપીમાં સામેલ જવાનોને પ્રોત્સાહન આપ્યું હતુ અને ચીનને પડકાર આપતા તેની વિસ્તારવાદની નીતિને ટાર્ગેટ કરી હતી.