નડિયાદ : અમદાવાદ નેશનલ હાઇવે નંબર-8 પર રાતે 8: 30 વાગ્યાની આસપાસ ફોર્ચ્યુનર અને સ્વીફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત 5 લોકોના મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને પહેલા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ખેડાથી અમદાવાદ તરફ જતા પીજ ચોકડી પાસે સ્વીફ્ટ કારમાં અમદાવાદ તરફ જતો પરિવાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો. સૂત્રો મુજબ બંને કાર એક જ લેનમાં હતી અને ફોર્ચ્યુનર કારચાલકે સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતા કાર પલટી અને અથડાઈ હતી. હાલમાં પાંચેય ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. બંને કાર ચાલક અમદાવાદ તરફ આવી રહ્યા હતા. વસો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મૃતક પરિવાર અમદાવાદના કાલુપુરનો રહેવાસી અને મોટા ચણાના વેપારી હોવાનું જાણવા મળ્યું છે.