મે સુધી બેન્કો વસુલાત નહી કરે: નવા એનપીએ કલાસીફીકેશન પર પણ રોક…
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોરોનાના કારણે હાલના લોકડાઉન સહિતની જે અભૂતપૂર્વ સ્થિતિ ઉભી થઈ છે તે જોતા બેન્ક ધિરાણના હપ્તા અને પુરી લોન અથવા તો ટર્મ લોન સહિતની અલગ અલગ કેટેગરીની લોનના વ્યાજ ચૂકવવામાં ત્રણ માસની રાહત આપી છે એટલે કે 1 માર્ચ 2020 થી 31 મે 2020 સુધીના વ્યાજ અને લોનના હપ્તા હાલ ન ભરાય તો બેન્કો તેના પર વિલંબીત ચૂકવણી વ્યાજ કે પેનલ્ટી વસુલશે નહી.
લોનધારક હપ્તા નહી ભરે તો તેના પર નોટીસ સહિતની કાર્યવાહી થશે નહી. રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શશીકાંતાદાસે આજે આ જાહેરાત કરતા કહ્યું કે લોકડાઉનને કારણે જે સ્થિતિ છે તેને ધ્યાને રાખીને બેન્કના ધિરાણમાં આ રાહત આપવામાં આવી છે.
બેન્કની કોઈપણ પ્રકારની લોનના હપ્તા તા.1 માર્ચ થી 31 મે સુધી ભરાશે નહી તો તેમાં કોઈ પેનલ્ટી વ્યાજ કે દંડ થશે નહી. આ જ રીતે ટર્મ લોન, વર્કીંગ કેપીટલ લોન કે અન્ય કોઈપણ પ્રકારનું ધિરાણનું વ્યાજ જે બેન્કો દ્વારા વસુલાય છે તેમાં પણ ભરવામાં ત્રણ માસની મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત બેન્કો હાલ તેના કોઈપણ ધિરાણને એનપીએમાં કલાસીફાઈડ નહી કરે.