કમલનાથ બાદ અશોક ગહેલોતની ખુરશી ખતરામાં….!!
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ૨૫ કરોડની ઓફર કરી…
જયપુર : રાજસ્થાનમાં ૩ સીટો માટે રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકીય અતિવિધિઓ તેજ થઇ ગઈ છે. તે પહેલા સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પક્ષના તમામ ધારાસભ્યો એક છે અને તેઓ કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવશે નહિ. તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોને ભાજપ દ્વારા ૨૫ કરોડ રૂપિયા ઓફર પણ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે મહેશ જોશીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે કે રાજસ્થાન સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી રાજમાર્ગ પર એક હોટલમાં કોંગ્રેસ અને તેના સમર્થક ધારાસભ્યોની મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યપ્રધાન ગેહલોતે જણાવ્યું હતું કે બેઠક ઘણી ફળદાયી રહી અને બધા એકજૂટ થઈને અહીંથી ગયા છે. અમારા ધારાસભ્યો ઘણા સમજદાર છે. તેમને ઘણી લોભ અને લાલચો આપવામાં આવી. પરંતુ, રાજસ્થાન ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પૈસાનો સોદો થતો નથી.
રાજસ્થાનમાં કેટલાંક ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી હોવાના સવાલ પર તેમણે વધુમાં જણાવ્યું કે કરોડો અરબો રૂપિયા મોકલાઈ રહ્યા છે. સંભળાય છે કે જયપુરમાં પૈસા ટ્રાન્સફર થઇ રહ્યા છે. કોણ મોકલી રહ્યું છે. વહેંચવા પર એડવાન્સ પણ આપવામાં આવી રહ્યા છે.” તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્યોને ખરીદવા કરોડો રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે.