વડાપ્રધાનએ એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું…
આત્મનિર્ભર ભારત માટે વિજળીની આત્મનિર્ભરતા જરૂરી, રીવા સોલાર પ્લાન્ટથી એમપી ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજ પુરવઠો મળશે…
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્યપ્રદેશના રિવા સ્થિત સૌથી મોટા સૌર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી શરૂઆત કરી છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. રીવાનો સોલર પ્લાન્ટ આ સમગ્ર ક્ષેત્રને ઉર્જાનું કેન્દ્ર બનાવશે. તેનાથી એમપીના લોકોને પણ લાભ થશે અને દિલ્હીમાં મેટ્રોને પણ વીજળી મળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હવે રીવાવાળા કહેશે કે દિલ્હીની મેટ્રો અમારું રીવા ચલાવે છે. તેનો લાભ મધ્યપ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. આજે ભારત સૌર ઉર્જાના મામલામાં ટોપના દેશોમાં સામેલ છે. પીએમએ કહ્યું કે વીજળીની જરૂરિયાતના હિસાબથી સૌર ઉર્જા મહત્વની છે. સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભરના વિષયમાં ઈકોનોમિ એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ બાબતે મંથન ચાલુ છે કે અર્થવ્યવસ્થાનું વિચારવામાં આવે કે પર્યાવરણનું, જોકે ભારતે બતાવ્યું છે કે બંનેને એક સાથે કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોના સંકટ દરમિયાન ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે અને સરકારે તેને ખરીદી છે. થોડા સમયમાં મધ્યપ્રદેશના ખેડૂતો વીજળી પેદા કરવાનો રેકોર્ડ પણ તોડશે. હવે આપણે દેશમાં જ સોલર પ્લાન્ટ્સ સાથે જોડાયેલો સામાન પણ બનાવીશું. આત્મનિર્ભર ભારત અંતર્ગત આયાત પરની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને અહીં જ તેનું ઉત્પાદન કરવા પર ભાર મૂકાશે. હવે સરકારનો કોઈ પણ વિભાગ જો કોઈ સોલર પ્લાન્ટ સાથે જોડાયેલો સામાન લે છે તો તેઓ મેક ઈન્ડિયાનો જ સામાન ખરીદશે.
સંબોધનમાં મોદીએ કહ્યું અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, એલપીજી આપવું, એલઈડી આપવું, સૌર ઉર્જા સહિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમએ કહ્યું કે છેલ્લા ૬ વર્ષમાં સરકારે ૩૬ કરોડ એલઈડી બલ્બ વહેંચયા છે, ૧ કરોડથી વધુ બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લગાવવામાં આવ્યા છે. અમારી સરકારે એલઈડીની કિંમતને દસ ગણ ઘટાડી દીધી છે. પીએમએ કહ્યું કે તેનાથી ૬૦૦ અબજ યુનિટ વીજળીની બચત થઈ રહી છે, દર વર્ષે લોકોને વીજળીનું બિલ ઓછું આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ૨૦૧૪ પહેલા સોલર પાવરની કિંમત વધુ હતું, જોકે હવે કિંમત ઘણી ઘટી ગઈ છે. ભારત હવે ક્લીન એનર્જીનું સૌથી શાનદાર માર્કેટ બની ગયું છે. આ ક્ષેત્રમાં હવે ભારત મોડલ બની ચૂક્યું છે. હવે એક સામાન્ય માણસના ઘરની છતથી લઈને બગીચા સુધી વીજળીનું સર્જન થઈ રહ્યું છે. તેની સાથે જ અન્નદાતાને ઉર્જાદાતા બનાવાઈ રહ્યાં છે. જે જમીન પર ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી થતી હતી ત્યાં તેઓ હવે પ્લાન્ટ લગાવી રહ્યાં છે.