Charotar Sandesh
ગુજરાત

ભૂમાફિયાઓ સાવધાન : લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને રૂપાણી કેબિનેટની મંજૂરી…

૬ મહિનામાં જ ફેંસલો, ૧૪ વર્ષની જેલ, જંત્રી જેટલો દંડ…

ગાંધીનગર : ગુજરાતમાં અનેક વાર ભૂમાફિયાઓનાં ત્રાસથી લોકો જમીન છોડી જવાના કિસ્સા સામે આવ્યા છે. તો થોડા સમય પહેલાં જ ભૂમાફિયાઓ દ્રારા ફાયરિંગની ઘટનાઓ પણ સામે આવી હતી. તેવામાં હવે ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે રાજ્યની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી.

આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે સરકારે નિર્ણય કર્યો હતો. અને આ માટે લાવવામાં આવેલાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ મામલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, જમીનની કિંમતો વધતાં ભૂમાફિયાઓનું જોર વધ્યું છે. અને તેમના પર અંકુશ મેળવવા માટે સરકાર આ કાયદો લઈને આવી છે. આ કાયદામાં જમીન હડપનારને ૧૦થી ૧૪ વર્ષની સજાની જોગવાઈ છે. અને કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો ૬ માસમાં આવશે. આ ઉપરાંત iORA પોર્ટલ પર મહેસૂલી સેવાઓની અરજી કરી શકાશે તેવું પણ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.

ગરીબ, ઓછુ ભણેલા ખેડૂતો, મિલકત માલિકોને ડરાવી, ધમકાવી જમીનો પર કબ્જો કરતા વગદારો અને ભૂમાફિયાઓનું હવે આવી બનશે. ગેરકાયદે જમીનો પચાવી પાડનારા સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાવવાની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા કાયદાનો પ્રસ્તાવમાં જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લોકોમાં જાગૃતિને અભાવે અનેક જિલ્લાઓમાં મિલકત માલિકોની જમીનો લૂંટાયા બાદ હવે સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ- ૨૦૨૦ લાવવાની જાહેરાત કરી છે. જેમાં ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર, તેમજ ભોગવટેદારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેસોની ઝડપી સૂનાવણી થાય તેના માટે સરકાર સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરશે. કેસ દાખલ થયાના છ જ મહિનામા કેસનો નિકાલ આવે તેવી વ્યવસ્થા પણ થશે. કસૂરવારને ૧૦ થી ૧૪ વર્ષની જેલની સજા તેમજ જમીનની જંત્રી જેટલો દંડ થઈ શકે.

  • કંપની કે પેઢીના કેસમાં ભાગીદારો જેલ ભેગા થશે…
    કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર ગણવાનું ઠેરવ્યું છે. જમીન ખરીદ- વેચાણની ગેરરિતી આચરવાના કિસ્સામાં જો કોઈ કંપની, વેપારી પેઢી સામેલ હશે તો તેના જવાબદાર વહિવટકર્તા, ભાગીદારોને પણ જેલમાં જવાનો વારો આવશે.

Related posts

વસ્તી નિયંત્રણ કાયદા અંગે સરકાર જરુર વિચાર કરશે : ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ

Charotar Sandesh

અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો…

Charotar Sandesh

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

Charotar Sandesh