Charotar Sandesh
ઈન્ડિયા

મહારસીકરણનો પ્રારંભ : દેશના હેલ્થ વર્કરોને અપાયું ‘કોરોના રસીનું સુરક્ષા કવચ’…

  • વડાપ્રધાન મોદીએ મહારસીકરણનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો…

  • દિલ્હી એઇમ્સના હેલ્થવર્કર મનીષ કુમારને પહેલી વેક્સિન લગાવાઈ…

  • એઇમ્સના ડિરેક્ટર ગુલેરિયા, સીરમના સીઇઓ અદાર પૂનાવાલા તથા મહેશ શર્માએ કોરોના વેક્સિન લગાવી

  • દેશની બંને વેકસીન તમામ કસોટીમાં પાસ છે, લોકો અફવાથી દુર રહે, વાયરસની રસીના બે ડોઝ લેવા જરૂરી છે, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાળવા જ પડશેઃ મોદી

  • કોરોના વોરિયર્સને યાદ કરી ભાવુક થયા વડાપ્રધાન કહ્યુું હજારો સાથીદારો ઘરે પરત નથી આવ્યા, તેમને પહેલાં વેક્સીન આપીને ઋણ ઉતારવું છે, તાળી, થાળી અને દીપ પ્રગટાવીને કોરોના ભયને ભગાવ્યો

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૧.૦૫ વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલા ૩૫ મીનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે. તો આ તરફ સીરમના CEO અદાર પૂનાવાલા, એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયા અને એઈમ્સના સફાઈ કર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, મારા માટે ગર્વનો વિષય છે કે કોવીશીલ્ડ આ વેક્સિનેશન અભિયાનનો ભાગ છે. મેં મારા કર્મચારીઓ સાથે પોતે પણ વેક્સિન લીધી છે.
દેશમાં કોરોનાને ટક્કર આપવા વેક્સિનેશનની શરૂઆત કરતાં વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. કોરોના કાળમાં મુશ્કેલ સમયને યાદ કરીને તેમની આંખો ભરાઈ ગઈ હતી અને ગળે ડુમો ભરાઈ ગયો હતો. તેમણે કહ્યું કે, જે લોકો આપણને છોડીને જતા રહ્યા, તેમને એવી વિદાય ન મળી શકી જે તેમને મળવી જોઈતી હતી. સાથીદારોએ આપણને બચાવવા માટે તેમના પ્રાણ સંકટમાં નાખ્યા છે. તેમણે કહ્યું કે, આપણાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, આશા વર્કર્સ, સફાઈ કર્મચારીઓએ તેમની જવાબદારી નીભાવી છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહ્યા. ઘણાં ઘણાં દિવસો સુધી ઘરે નથી ગયા. ઘણાં સાથીઓ એવા છે જે ઘરે પરત જ નથી ફર્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યં તેમણે એક-એક જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મૂક્યા છે. તેથી કોરોનાની પહેલી વેક્સિન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોને આપીને સમાજ પોતાનું ઋણ ચુકવી રહ્યા છે. આ દેશની તેમના માટે આદરાંજલિ પણ છે.
વડાપ્રધાને કહ્યું કે, સાથીઓ માનવ ઈતિહાસમાં ઘણી મુશ્કેલીઓ આવી, યુદ્ધ થયા. પરંતુ કોરોના એવી મહામારી છે જેનો અનુભવ ન સાયન્સને હતો, ન સોસાયટીને. જે ન્યૂઝ આવી રહ્યા હતા તે સમગ્ર દુનિયાની સાથે સાથે દરેક ભારતીયને પણ વિચલીત કરી રહ્યા હતા. આ સંજોગોમાં દુનિયાના મોટા-મોટા નિષ્ણાતોએ પણ ભારત વિશે ઘણાં શંકા-કુશંકાઓ કરી હતી. ભારતની મોટી વસ્તીને દરેક લોકોએ નબળાઈ ગણાવી પરંતુ આપણે તેને આપણી તાકાત બનાવી દીધી.
તેમણે કહ્યું કે, ૩૦ જાન્યુઆરીએ ભારતમાં પહેલો કોરોનાનો કેસ આવ્યો હતો. પરંતુ તેના બે સપ્તાહ પહેલાં જ ભારતે હાઈલેવલ કમિટીની બેઠક બોલાવી હતી. ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અમે પહેલી એડ્‌વાઈઝરી જાહેર કરી દીધી હતી. ભારત પહેલા એવા દેશોમાં સામેલ હતો જેણે એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધુ હતું. કોરોનાને ટક્કર આપવાની લડાઈમાં ભારતે જે સામૂહિક શક્તિનું પ્રમાણ બતાવ્યું છે તેને આવનાર પેઢી યાદ કરશે.
વડાપ્રધાને કહ્યું કે, આપણે તાળી-થાળી વગાડીને અને દિવો પ્રગટાવીને દેશનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો છે. કોરોના સમયે સૌથી પ્રભાવી રીત આ જ હતી કે જેઓ જ્યાં હતા ત્યાં જ રહે. પરંતુ દેશની આટલી મોટી વસતીને બંધ રાખવા સરળ નહતું. તેની અર્થવ્યવસ્થા પર શું અસર થશે તે અમારી સૌથી મોટી ચિંતા હતી, પરંતુ ત્યારે અમે વ્યક્તિના જીવનને પ્રથમ પ્રાથમિકતા આપી.
આટલા ઓછા દિવસોમાં એક નહીં, બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર થઈ છે. આવી જ ઉપલબ્ધિઓ માટે રાષ્ટ્ર કવિ રામધારી સિંહ જી દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે, તો પથ્થર પણ પાણી બની જાય છે.
પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે મળશે,તેની માહિતી પણ તમારા ફોન પર આપવામાં આવશે. વેક્સિનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે. એક ડોઝ લાગી ગયો અને બીજો લેવાનું ભૂલી ગયા, એવી ભૂલ ન કરશો. પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાની ગેપ રખાશે. બીજો ડોઝ લાગ્યા પછી જ તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ શક્તિ વિકસીત થઈ શકશે. વેક્સિન લાગતાની સાથે જ સાવધાની રાખજો. જે ધૈર્ય સાથે કોરોનાનો સામનો કર્યો, એ જ ધૈર્ય વેક્સિનેશન વખતે દેખાડવાનું છે.
તમારે કોઈ પ્રકારના પ્રચારથી દૂર રહેવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં ઘણી વિશ્વસનીયતા છે. તમને ગર્વ થશે કે દુનિયામાં જેટલા બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમંથી ૬૦% ભારતમાં જ બને છે.

Related posts

પંજાબ બોર્ડર પર BSFએ પાકિસ્તાનના પાંચ ઘુસણખોરને ઠાર કર્યા…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડતોડ ૯૬,૭૬૦ કોરોના પોઝિટિવ કેસઃ ૧૨૧૩ના મોત…

Charotar Sandesh

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શા માટે પીડિત પરિવારને મળ્યા નહી : જાવડેકર

Charotar Sandesh