પ્રધાનમંત્રી લાલ આંખ કરો દેશની જમીન પાછી લાવો, મારો દેશ મારૂ ગૌરવ મારૂ સૈન્ય મારૂ અભિમાન સહિતના બેનર…
અમદાવાદ : અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે શહીદોને સલામ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત કાર્યકરો હાજર રહ્યા. શહીદોને સલામ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાલની સ્થિતિ માટે આપણી વિદેશ નીતિને જવાબદાર ગણાવી છે. જવાનોને હથિયાર વગર કેમ લડવા માટે મોકલ્યા જેવા અનેક સવાલો અમિત ચાવડાએ સરકારને કર્યા હતા.
તેમજ પીએમ મોદી ચીન સામે સખ્ત પગલા લે તેવી માંગ કરી હતી સાથે જ જણાવ્યું હતું કે ચાઈનીઝ પ્રોડકટ બહિષ્કાર કરવાથી ચાઈના આપણી જમીન નહિ છોડે. સરકારે કુટનીતિક અને વિદેશ નીતિના આધારે પગલાં લેવા જોઈએ. તો પરેશ ધાનાણીએ કહ્યું કે પીએમ મોદીએ ઝૂકવાની જરૂર નથી તમે આગળ વધો અમે તમારી સાથે જ છીએ.
આજે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરમાં ચીન સામેના સંઘર્ષમાં શહીદ થયેલા ૨૦ જવાનોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ બેનરો સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, શશીકાન્ત પટેલ. ગ્યાસુદીન શેખ. જુનેદ શેખ, ડો.અસલમ અને શહેરના કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા. ચીનને પાઠ ભણાવવા માટે બેનરો સાથે માગ કરી હતી. કોગ્રેસના નેતાઓના હાથમાં પ્રધાનમંત્રી લાલ આંખ કરો દેશની જમીન પાછી લાવો, મારો દેશ મારૂ ગૌરવ મારૂ સૈન્ય મારૂ અભિમાન , ધન્ય છે એ શહીદોને જેણે સાચવી દેશની ગરીમા.. ધિક્કાર છે તેઓને જે ન કરીશ શક્યા આ સપૂતોની રક્ષા. ૧ સિર કે સામને ૧૦ સિર લાને કા વચન નિભાઓ.. જેવા લખાણ બેનરોમાં જોવા મળ્યા હતા.
ચીનની સરહદ પર ગલવાન વેલીમાં શહીદ થયેલા ૨૦ સૈનિકોને દેશભરમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ચીનની નાપાક હરકત સામે દેશભરમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોકબજાર સ્થિત ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. દેશના શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપીને મૌન પાળવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ ચીનની અવળચંડાઈ સામે વિરોધ પ્રગટ કર્યો હતો. શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપીને મૌન પાળ્યા બાદ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર માત્ર વાતોની વડાઈ હાંકે રાખે છે. ચીનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અગાઉ મોટી મોટી વાતો કરનારા અત્યારે ચુપ બેસી ગયા છે.