Charotar Sandesh
ગુજરાત

સરકાર જાગી : કોરોના માટેનો RT-PCR ટેસ્ટ ૮૦૦ રૂપિયામાં થશે…

રાજસ્થાન-દિલ્હી સરકાર બાદ રૂપાણી સરકારે કોરોના ટેસ્ટના ભાવ ઘટાડ્યા…

હવે ખાનગી લેબમાં ૮૦૦ અને ઘરે બેઠા ૧૧૦૦ રુપિયા ચાર્જ ચુકવવો પડશે, અગાઉ લેબમાં ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ ઘરે આવે તો ૨૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતા…

કેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી, ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે : નીતિન પટેલ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે રૂપાણી સરકાર દ્વારા એક સરાહનીય પગલુ લેવાયું છે. રાજ્ય સરકારે RT-PCR ટેસ્ટનો ભાવ ઘટાડી દીધો છે. કોર કમિટીમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. આરોગ્ય મંત્રી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી. આ ભાવ ઘટાડો આજથી જ અમલી બનશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે રાજ્યમાં RT-PCR ટેસ્ટના ચાર્જને લઇ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની જાહેરાત બાદ હવેથી કોરોનાના ટેસ્ટ માટે લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ૮૦૦ રૂપિયા ચાર્જ લેવાશે. નવા ચાર્જનો અમલ શરૂ કરી દેવાયો. કીટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ઘરે જઇને ટેસ્ટ કરવા માટે રૂ,૧૧૦૦ ચાર્જ રહેશે. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR  ટેસ્ટ કરાવવાનો ખર્ચ ૧૫૦૦-૨૦૦૦ રૂપિયા થતો હતો.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના માટે કરવામાં આવતા RT-PCR‌ ટેસ્ટ માટે જનતા પાસેથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ખંખેરવામાં આવતા હતાં. પરંતુ રૂપાણી સરકારે આ ભાવ ઘટાડીને ૮૦૦ રૂપિયા એટલે કે લગભગ અડધાથી પણ ઓછા કરી દેતા લોકોને ભારે રાહત થશે.
અગાઉ ૨૩ જૂનના રોજ ICMRએ કોવિડ-૧૯ની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટવ આવેલી વ્યક્તિને ખરેખર ચેપગ્રસ્ત માનવી જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિમાં જો લક્ષણો દેખાઈ રહ્યાં હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો RT-PCR ટેસ્ટ કન્ફર્મ કરવો જોઈએ.
ICMRના જણાવ્યાનુસાર, સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-૧૯ દર્દીઓનો ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ કરવામાં લાગેલી છે. આવી સ્થિતિમાં SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. ICMRના જણાવ્યાનુસાર, SARS-COV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.
પીસીઆર ટેસ્ટની મદદથી ખબર પડે છે કે, દર્દી કે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકો સંક્રમિત છે કે કેમ. તેમને કયા પ્રકારના ક્વોરન્ટીનમાં રાખવામાં આવે. શું વ્યક્તિને બે અઠવાડિયાં સુધી ઘરમાં રહેવાની જરૂર છે? શું આ દરમિયાન તે ઘરના અન્ય વ્યક્તિને મળી શકે છે કે પૂરી રીતે આઈસોલેટ રહેવાનું છે? ELISAs ટેસ્ટ એપેડેમિયોલોજિસ્ટ માટે જરૂરી છે. આની મદદથી તેઓ અંદાજો લગાવે છે કે, કેટલા એવા લોકો છે જે સંક્રમિત થઇ ગયા છે પરંતુ તેની ખબર નથી અને કેટલી હર્ડ ઈમ્યુનિટી મળી શકે છે.
આ સાથે નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ એક મોટી સમસ્યા હતી, જેને ધ્યાનમાં લેતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે તેમજ જરૂરિયાત પડવા પર ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

Related posts

સુરતથી ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને લખ્યો પત્ર : હેલ્મેટ અને સીટબેલ્ટનો દંડ બંધ કરો

Charotar Sandesh

જેની આંખમાં કમળો હોય તેને બધુ પીળું જ દેખાય : કોંગ્રેસ પર વરસ્યા રૂપાણી

Charotar Sandesh

કોરોના સંકટ : વિકાસ પર બ્રેક, રાજ્યના બજેટમાં ૧૫ ટકાનો ઘટાડો..!!

Charotar Sandesh