ન્યુ દિલ્હી : કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રજાસત્તાક પર્વ પર ખેડુતોએ મચાવેલી ધમાલને લઇને દિલ્હીના સિંધૂ બોર્ડરની પાસેના ગામના લોકોનો ગુસ્સે ભરાયા છે આજે ગામના લોકો ખેડુતોની સામે પ્રદર્શન કર્યું અને હાઇવે ખાલી કરવાની માગ કરી. ગામના લોકોનું કહેવું છે કે લાલ કિલ્લા પર જ રીતે તિરંગોનું અપમાન કરવામાં આવ્યું છે તે કયારેય સાંખી લેવામાં નહીં આવે. ગામના લોકો ઉપરાંત હિન્દૂ સેના સંગઠને પણ હાઇવે ખાલી કરવાની માગ કરી છે.
દીપ સિદ્ધુ ભાજપનો માણસઃ મુફ્તિ
જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દિલ્હીં હિંસાને લઇને કહ્યું કે, દીપ સિદ્ધૂ બીજેપીનો આદમી છે. ખેડુતોના આંદોલનને બદનામ કરવા માટે હિંસાનું કાવતરુ ઘડવામાં આવ્યું, દીપ સિદ્ધૂ સની દેઓલ માટે કામ કરે છે.
પોલીસના ડરથી ખેડૂતો આખી રાત સીમાડે જાગતા રહ્યા
પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીના નામે તોડફોડ અને હિંસા આચરનારા કહેવાતા ખેડૂતો મંગળ અને બુધવારે રાત્રે પોલીસ એક્શનના ડરે આખી રાત જાગતા રહ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે અમારા કેમ્પનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. ટીકૈતે કેન્દ્ર સરકાર અને પોલી પર એવો આક્ષેપ કર્યો હતો કે અમારા આંદોલનને કચડી નાખવાના પ્રયાસો કરાઇ રહ્યા હતા. ટીકૈતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રે માહોલને બિહામણું કરી નાખ્યું હતું. ખેડૂતોમાં ડર પેસી ગયો હતો કે પોલીસ ગમે ત્યારે પગલાં લેશે. વહીવટી તંત્ર ઇચ્છે છે કે અમારું આંદોલન ભાંગી પડે.