અત્યારે વકીલો પચાસ પૈસાના સિક્કા ભેગા કરવામાં પડયા…
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશો અને વકીલો વચ્ચેના સંઘર્ષની ઘટના ચર્ચાસ્પદ બની છે. સુપ્રીમ કોર્ટના વકીલ રીપક કંસલે રજિસ્ટ્રાર સામે આરોપ મૂક્યો હતો કે, કેસોને બોર્ડ પર મૂકવામાં ભેદભાવ કરાય છે અને અયોગ્ય રીતે કેટલાક કેસોને આગળ કરી દેવાય છે. કંસલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજિસ્ટ્રાર દ્વારા કેટલીક લો ફર્મ, મોટા વકીલોને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કંસલન અરજીને ફગાવીને આવા ગંભીર આરોપો મૂકવા બદલ કંસલને સો રૂપિયાનો પ્રતિકાત્મક દંડ કર્યો હતો.
વકીલોનો મોટો વર્ગ કંસલની સાથે છે પણ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના ના કરાય તેથી તેમણે વિરોધ કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. બસો વકીલો પચાસ-પચાસ પૈસાના સિક્કાનું યોગદાન આપીને આ સો રૂપિયા ભેગા કરે ને એ રકમ જમા કરાવે એવો નિર્ણય લેવાયો છે. આ રકમ ભેગા કરવા અત્યારે વકીલો પચાસ પૈસાના સિક્કા ભેગા કરવામાં પડયા છે. સુપ્રીમ કોર્ટ આ વાતને હળવાશથી લે છે કે પછી આ પ્રકારના વિરોધને પણ અવમાનના ગણે છે એ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે.