સોજિત્રા : સોજિત્રા સીમમાંથી પસાર થતી મોટી નહેર પાસે મંગળવારે મોડી સાંજે સાંકડા રસ્તો હોય અને સામેથી વાહન આવતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે ૧૭ ખેતમજૂરો ભરેલી ટેમ્પી કેનાલમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમણે બાર વ્યક્તિઓને બચાવી લીધા હતા. જોકે, ડૂબી જવાને કારણે બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ લાપત્તા બની હતી. પેટલાદ તાલુકાના કણીયા ખાતે રહેતા લલિત વાઘજી તળપદા પાસે ટેમ્પી છે. તેઓ ટેમ્પી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે સવારે તેઓ આઠ મહિલા સહિત ૧૬ ખેતમજૂરો સોજિત્રા ગામે ડાંગર કાપવા માટેની મજૂરીકામે ગયા હતા.
દરમિયાન, મજૂરીકામ પૂરૂં કરી સાંજે છ વાગ્યે તેઓ ઘર તરફ પરત આવી રહ્યા હતા. ચાલક લલિત તળપદા પુરપાટ ઝડપે સોજિત્રા સીમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે અચાનક સામેથી વાહન આવતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમની ટેમ્પી પાસેથી પસાર થઈ રહેલી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણી ખૂબ જ હોય તમામ લોકો ડૂબી ગયા હતા. જોકે, બનાવને પગલે બુમા-બુમ મચી જતાં આજુબાજુના ખેતરના શ્રમિકો તથા સ્થાનિક તરવૈયા તુરંત જ દોડી આવ્યા હતા અને તેમણે બચાવ કામગીરી હાથ ધરીને ૧૨ જણાંને બચાવી લીધા હતા. આ બનાવની જાણ આણંદ ફાયરબ્રિગેડ અને સોજિત્રા અને પેટલાદ પોલીસને કરવામાં આવી હતી. જેમાં બાર લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બે મહિલા જેમાં ચાલકની પત્ની મધુબેન તળપદા અને સવિતા કનુ તળપદાનું (રહે. દંતેલી) નું મોત નીપજ્યું હતું. જ્યારે પાણીનું વ્હેણ હોય અર્જુન મોહન તળપદા (રહે. કણીયા), ભારતી રણછોડ તળપદા અને પારૂલ ચંદુ તળપદા (બંને રહે. દંતેલી) લાપત્તા બન્યા હતા. સાંજ થઈ જતાં ફાયરબ્રિગેડ દ્વારા બુધવારે શોધખોળ હાથ ધરાશે.