……આખરે સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળી જાગી…
જીએસટીની આવક ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહ્યો છે વધારો : ઘરે બોલાવીને સેમ્પલ લેવાશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ થશે…
નક્કી કરેલી કિંમત કરતા વધુ ચાર્જ લેનાર લેબોરેટરીની માન્યતા થશે રદ…
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્વની જાણકારી આપી. તેમણે ટેસ્ટિંગ અંગે કહ્યું કે ડોક્ટર સલાહ આપે તે રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે જેવા વ્યક્તિઓના ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હોસ્પિટલમાં ચાલતી અને મેડિકલ કોલેજમાં ચાલતી લેબોરેટરીઓ) બધી જ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે પણ આમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. જે ઓછો હોવો જોઈએ. જે નિર્ણય લેવાયો છે તે મુજબ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જો ઘરે બોલાવીને સેમ્પલ લેવામાં આવશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ થશે. નીતિન પટેલના જણાવ્યાં મુજબ હવે કોરોનાના ટેસ્ટનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જો ઘરે બોલાવીને સેમ્પલ લેવાશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ થશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કોઈ પણ લેબોરેટરી નક્કી કરેલી કિંમત કરતા વધુ ચાર્જ લેશે તો એ લેબોરેટરીની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. તેમણે જો કે નાગરિકોને સરકારી લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારી લેબોરેટરીમાં અંદાજે ચારથી સાડા ચાર હજાર દરરોજના ટેસ્ટ કરવામાં આવે છે જે વિનામૂલ્યે થાય છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે નામદાર હાઈકોર્ટે પણ માર્ગદર્શન પણ આપ્યું છે એ પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ઓપરેશન કરાવવું હોય કે બીજી સારવાર કરાવવી હોય, તો જગ્યા પ્રમાણે કોરોનાનું ટેસ્ટીંગ ખાનગી લેબોરેટરીમાં કરાવી શકે છે. જે એમડી ડોક્ટર છે તે કરાવવાની જરૂરિયાત લેબોરેટરીમાં મોકલી શકે છે, ખાનગી લેબોરેટરી તેનો ટેસ્ટ કરી શકે છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ આ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. રાજ્ય સરકાર પોતાની લેબોરેટરીમાં વિનામૂલ્યે કરતી ટેસ્ટિંગ કરાવતી હોય ત્યારે કેટલીક વ્યક્તિઓને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો હોય તો ૪૦૦૦ ની ચુકવણી કરવી પડતી હતી તે ધ્યાનમાં આવતા આ અંગે જુદા મુદ્દાઓ આવરી કોર્ટમાં પિટિશન પણ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયનો આજથી અમલ કરવામાં આવશે.
નીતિન પટેલ ગુજરાતના નાણામંત્રી પણ છે. ડીઝલના વધતા ભાવ વિશે પણ તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ડીઝલના ભાવમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તે સમગ્ર દેશમાં વધારો થઈ રહ્યો છે. એક નાણામંત્રી તરીકે હું માનું છું કે ભારત સરકારને પણ જીએસટીની આવક ઘટી ગઈ છે તથા અન્ય આવક પણ ઘટી છે. સરકારના બધા ખર્ચા યથાવત ચાલુ છે. કોરોનાને લગતી જે પણ કામગીરી સરકાર કરી રહી છે એટલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સરકાર કરી રહી હશે.
પોલીસ વિભાગને ગુણવત્તારહિત સેનેટાઈઝર આપવા મામલે તેમણે કહ્યું કે પોલીસ વિભાગને ગુણવત્તારહિત સેનેટાઈઝર આપવાની ઘટનામાં ગંભીર નોંધ સરકારે લીધી છે અને જે પણ કંપનીએ આ પ્રકારના સપ્લાય સાઈઝ કર્યા હશે તેની સામે તપાસ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવશે.
જાણો કયાં રાજ્યમાં કેટલો ભાવ?
ગુજરાત : રૂ. ૪૫૦૦
મધ્યપ્રદેશ : રૂ. ૪૫૦૦
તમિલનાડુ : રૂ. ૩૦૦૦
આંધ્રપ્રદેશ : રૂ. ૨૯૦૦
ઉત્તરપ્રદેશ : રૂ. ૨૫૦૦
દિલ્લી : રૂ. ૨૪૦૦
બંગાળ : રૂ. ૨૪૦૦
કર્ણાટક : રૂ. ૨૨૫૦
મહારાષ્ટ્ર : રૂ. ૨૨૦૦
રાજસ્થાન : રૂ. ૨૨૦૦
તેલંગાણા : રૂ. ૨૨૦૦
ચંદીગઢ : રૂ. ૨૦૦૦