મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોડીરાત્રે ઉચ્ચસ્તરીય બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા…
અમદાવાદ : કોરોના વાયરસના આક્રમણથી અત્યાર સુધી બચી રહેલા ગુજરાતમાં એક સાથે 5 કેસ નોંધાતા રાજય સરકાર તથા આરોગ્ય વિભાગ ખળભળ્યા છે. રાજકોટ તથા સુરતમાં એક-એક કેસની પુષ્ટિ ગઈ સાંજે રીપોર્ટ થયા બાદ મોડીરાત્રે અમદાવાદમાં બે અને વડોદરામાં એક વધુ પોઝીટીવ કેસ નોંધાયો છે.
રાજકોટ તથા સુરતમાં એક-એક પોઝીટીવ કેસ હોવાની રાજયના આરોગ્ય વિભાગે ગઈ સાંજે જ પૃષ્ટિ કરી દીધી હતી. અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટની 22 વર્ષની યુવતિનો રીપોર્ટ પણ મોડીરાત્રે પોઝીટીવ આવ્યો છે. આ યુવતી ગત રવિવારે જ અમેરિકાથી પરત આવી હતી. વિમાનમાં ચડતા પુર્વે એરપોર્ટ પર કોરોના પોઝીટીવ ધરાવતા મિત્રને મળી હતી અને તેને ચેપ લાગ્યો હતો.
રાજકોટ-સુરતની જેમ અમદાવાદની યુવતિના સંપર્કમાં આવેલા લોકોનું લીસ્ટ બનાવીને ટેસ્ટીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંપર્કમાં આવેલા સંખ્યાબંધ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પુર્વે રાજકોટના સંયુક્ત આરબ અમીરાતથી આવેલા યુવકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ યુવક ટ્રેનમાર્ગે મુંબઈથી આવ્યો હતો એટલે સંખ્યાબંધ લોકો તેના સંપર્કમાં આવ્યાની શંકાના આધારે અનેક લોકોને આઈસોલેટ-કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
આ જ રીતે સુરતની 21 વર્ષિય યુવતિને કોરોના પોઝીટીવ માલુમ પડયો છે તે બ્રિટનથી પરત આવી હતી. રાજયના આરોગ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી જ છે. ઉપરાંત તેના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 150 શંકાસ્પદ કેસોનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે તેમાંથી 123ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના પગપેસારાના પગલે મોડીરાત્રે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.