કોરોનાની લડાઈમાં કામ કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે અભદ્ર વર્તન અને હિંસા ક્યારે ચલાવી લેવાશે નહીં,આપણો દુશ્મન દેખાતો નથી પણ આ લડાઈમાં કોરોના વોરિયર્સ અડગ છે, તેથી આપણી જીત નક્કી છે…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કર્ણાટકના રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબલી કાર્યક્રમનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું કે, વાઈરસ જોવા મળતો નથી, પણ આપણા પોલીસકર્મી, મેડિકલ ટીમ એટલે કે આપણા કોરોના વોરિયર્સ જોવા મળે છે. એ લોકો અડગ છે. આ લડાઈ જોવા ન મળતા દુશ્મનો-અદ્રશ્ય અને મજબૂતાઈથી ઝઝૂમી રહેલા યોદ્ધાઓ વચ્ચે છે. જેમાં આપણા મેડિકલ વર્કર્સની જીત નક્કી છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે કોરોનાની લડાઈમાં કામ કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે અભદ્ર વર્તન અને હિંસા ક્યારે ચલાવી લેવાશે નહીં.
મોદીએ એવું પણ કહ્યું કે, ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્માન ભારત ચાલી રહી છે. બે વર્ષથી ઓછા સમયમાં આનાથી એક કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આ યોજનાથી સૌથી વધારે ફાયદો મહિલાઓ અને ગ્રામીણ લોકોને થયો છે. ૨૨ એઈમ્સ ઝડપથી બનાવવા માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. છેલ્લા ૫ વર્ષોમાં એમબીબીએસની ૩૦ હજાર અને પીજીની ૧૫ હજાર સીટ વધારવામાં સફળતા મળી છે.