ગરીબ બાળકોનો અભ્યાસ અને રહેવા-જમવાનો ખર્ચ ઉપાડશે…
મુંબઈ : લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકો અને દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડનારો સોનુ સૂદ હવે ગરીબ બાળકોની મદદ કરશે. તેણે પોતાની માતાના નામે સ્કોલરશિપ શરુ કરી છે. તે ગરીબ બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે. એક વાતચીત દરમિયાન સોનુએ જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક મહિનામાં મેં જોયું કે, ગરીબોને તેમના બાળકોના અભ્યાસ માટે ઘણી સ્ટ્રગલ કરવી પડે છે.
કેટલાક પાસે ઓનલાઈન ક્લાસ માટે ફોન નથી. કેટલાક પાસે ફી ભરવા માટે રૂપિયા નથી. આથી મેં મારી માતા પ્રોફેસ્ત સરોજ સૂદના નામે સ્કોલરશિપ શરુ કરવા માટે દેશની તમામ યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું છે. મારી માતા મોંગા(પંજાબ)માં મફત ભણાવતા હતા. તેમણે મને કહ્યું હતું કે હું તેમના કામને આગળ વધારું. લોકડાઉન અને કોરોનામાં આ જ યોગ્ય સમય છે.
સોનુ સૂદની આ સ્કોલરશિપ મેડિસિન, એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ એન્ડ ઓટો મોશન સાઈબર સિક્યોરીટી, ડેટા સાયન્સ, ફેશન અને બિઝનેસ સ્ટડીઝ જેવા કોર્સ માટે મળશે. સોનુએ જણાવ્યું કે, ‘જે પરિવારોની વર્ષની આવક ૨ લાખ રૂપિયાથી ઓછી છે, તેઓ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. શરત માત્ર એ જ છે કે, તેમનો એકેડમિક રેકોર્ડ સારો હોવો જોઈએ. તેમના દરેક ખર્ચા જેમ કે કોર્સ અને હોસ્ટેલની ફી, જમવાની જવાબદારી પણ અમે ઉપાડીશું.’