Charotar Sandesh
સ્પોર્ટ્સ

એક જ ફોર્મ્યુલા કે પરંપરા ઉપર ચાલવાની પ્રથા અમે બંધ કરીશું : કોહલી

સાઉથમ્પ્ટન : ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાં ફેરફાર થાય તેવા સંકેત આપ્યા છે. કોહલીએ જણાવ્યું હતું કે સમીક્ષા કર્યા બાદ સારા પ્રદર્શન માટે સકારાત્મક માનસિકતા સામે મેદાનમાં ઉતરે તેવા ખેલાડીઓને ટીમમાં લાવવામાં આવશે. કોહલીએ કોઇ વ્યક્તિગત ખેલાડીનું નામ લીધું નહોતું પરંતુ સંકેત આપ્યો હતો કે કેટલાક ખેલાડીઓ રન બનાવવાનું ઝનૂન દેખાડતા નથી. કોહલીનો આ સંકેત સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સામે થયો હોવાનું માનવામાં આવે છે જેણે ફાઇનલના પ્રથમ દાવમાં ૫૪ બોલમાં આઠ તથા બીજા દાવમાં ૮૦ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. તેણે પ્રથમ રન માટે ૩૫ બોલનો સમય લીધો હતો.
કોહલીએ જણાવ્યું, અમારે આત્મમંથન કરતા રહેવું પડશે અને ટીમને મજબૂત બનાવવા માટે શું કરવું જોઇએ તેની સતત ચર્ચા કરતા રહીશું. એક જ ફોર્મ્યુલા કે પરંપરા ઉપર ચાલવાની પ્રથા અમે બંધ કરીશું. અમે એક વર્ષ સુધી રાહ જોઇ શકીએ તેમ નથી. અમારી મર્યાદિત ઓવર્સની ટીમમાં ઘણી મજબૂતાઇ છે અને ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. અમારે નવેસરથી યોજના તૈયાર કરવી પડશે અને ટીમ માટે કઇ બાબત અસરકારક છે તે સમજવું પડશે.
કોહલીએ જણાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં રન કેવી રીતે બનાવી શકાય તેની ઉપર અમારે કાર્ય કરવું પડશે. મેચ અમારા હાથમાંથી સરકી જાય તે અમારે બંધ કરવું પડશે. કોઇ ટેક્નિકલ મુશ્કેલી હોય તેવું મને લાગતું નથી. આ સચેત રહીને બોલર્સનો નીડર થઇને સામનો કરવાની બાબત છે. બોલર્સને લાંબા સમય સુધી એક જ લાઇનલેન્થ ઉપર બોલિંગ કરાવવાનું બંધ કરવું પડશે. બેટ્સમેનોએ ચોક્કસ પ્રકારનું જોખમ ઉઠાવીને ક્રિઝ ઉપર ટકી રહેવાની બાબતને વધારે મજબૂત બનાવવી પડશે. હવે વિકેટ ગુમાવવાના બદલે હવે રન બનાવવા ઉપર ધ્યાન આપવું પડશે.
કોહલીએ જણાવ્યું, અમે મેચના પરિણામ અંગે વધારે વિચારી રહ્યા નથી પરંતુ એક મેચ દ્વારા સર્વશ્રેષ્ઠ ટીમનો નિર્ણય લેવો જોઇએ નહીં. આ માટે બેસ્ટ ઓફ થ્રી એટલે કે ત્રણ ટેસ્ટની શ્રેણી રમાવી જોઇએ. તેમાં જે ટીમ વિજેતા બનશે તે અસલી ચેમ્પિયન ટીમ ગણાશે. એક મેચ દ્વારા વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ નક્કી કરવાના નિર્ણયથી હું સહમત નથી. સારી ટીમ કઇ છે તેનો નિર્ણય બે દિવસથી બનેલા દબાણના કારણે આવી શકે નહીં.

Related posts

ફાસ્ટ બોલરને લય પ્રાપ્ત કરવા ૪-૬ મહિનાનો સમય લાગી શકે : ઇરફાન પઠાણ

Charotar Sandesh

ડિપ્રેશન ખૂબ જ મોટી સમસ્યા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે…

Charotar Sandesh

ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાંથી વરૂણ ચક્રવર્તી બહાર થાય તેવી શક્યતા…

Charotar Sandesh