ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ અને પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવની વિશિષ્ટ સાયં સભામાં ઉપસ્થિત રહ્યા
‘પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવા મંદિરો, સંતો અને શાસ્ત્રોની ગરિમા સમગ્ર વિશ્વમાં વધારી છે’ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ડિસેમ્બર 7, 2023 ના રોજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિને BAPS સ્વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ BAPSના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે યોજાયેલ પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને સાંજે ભવ્ય લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ તેમજ હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યોને ઉજાગર કરતું, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને સામાજિક સેવાઓ અને આધ્યાત્મિક શિક્ષણનું ઉત્તમ સ્થાન બની રહેશે.
![](https://charotarsandesh.com/wp-content/uploads/2023/12/BAPS-Swaminarayan-Mandir-NADIAD.jpg)
ગુજરાત વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ગુજરાત સરકારના સહકારી મંત્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા, મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ સ્થાને મોટું મંદિર રચવા સંકલ્પ કર્યો હતો, જે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો છે. સવારે મૂર્તિપ્રતિષ્ઠા વિધિમાં સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા વૈદિક મહાપૂજા બાદ પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ અને આરતી તથા ભવ્ય અન્નકૂટ દ્વારા ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું.
![](https://charotarsandesh.com/wp-content/uploads/2023/12/2023_12_08_1587A.jpg)
ભગવાન શ્રી સ્વામિનારાયણ- ગુણાતીતાનંદ સ્વામી(શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ), શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રામ પરિવાર, શ્રી રાધાકૃષ્ણ ભગવાન , શ્રી શિવ પરિવાર, શ્રી નીલકંઠવર્ણી અને શ્રી ગુણાતીત ગુરુપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યક્ષ ઉપસ્થિત અને વર્ચ્યુઅલ લાભ લઈ રહેલાં હજારો હરિભક્તો-ભાવિકોએ દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
Other News : આણંદને રૂ. ૨૭૦ કરોડના વિકાસ કામોની સોગાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ