કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી
યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાઇ
આણંદ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીના ઉપયોગની આવશ્યકતા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને અધ્યક્ષીય સંબોધન કરતાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્ર – कृणवन्तो राष्ट्रं कृषिसंपन्न्म ને ટાંકીને કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર- દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જલ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે.
કાર્યક્રમના અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. જી. આર. પટેલે આભાર વિધિ કરી હતી, તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર – પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યશ્રીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, નિવૃત વૈજ્ઞાનિકો તેમજ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસ દરમિયાન ૧૬૩ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા