વડોદરા : વડોદરા સહિતના ગુજરાતનાં મોટાં શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૧૮ની આસપાસ છે. રવિવારે સાંજે પાલિકાએ જાહેર કરેલા ડેટા મુજબ વડોદરામાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૮૪ છે.
એટલે કે રાજ્યના કુલ એક્ટિવ દર્દીઓના ૨૬ ટકા દર્દી વડોદરામાં છે. આ સ્થિતિ જોતાં વડોદરાવાસીઓએ હવે ચેતવા જેવું છે.
બીજી ચિંતાજનક બાબત વડોદરા માટે એ છે કે, ૨૨ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર દરમિયાનના છેલ્લા ૨૧ દિવસમાં વડોદરા શહેરમાં આવેલા કુલ કેસ ૧૩૨ કેસો પૈકી ૬૨ કેસ (૪૭ ટકા) પશ્ચિમ ઝોનમાં આવ્યા છે.
વડોદરામાં છેલ્લા ૪ દિવસમાં ૨૯,૭૬૩ ટેસ્ટિંગ થયા છે, જેમાંથી આરટીપીસીઆર ૭૫ ટકાની આસપાસ છે. કોરોનાના પહેલા પીકમાં આર્થિક કટોકટીમાં પાલિકા હતી ત્યારથી શહેરમાં તત્કાલિન ઉચ્ચ અધિકારીની સૂચનાથી ખર્ચ બચાવવાના હેતુથી આરટીપીસીઆર ઓછા થતા હતા, જે આજે પણ યથાવત્ છે.
અમદાવાદ અને જામનગરમાં કુલ ટેસ્ટિંગના અનુક્રમે ૯૫ અને ૯૧ ટકા જેટલા આરટીપીસીઆર થાય છે. વડોદરામાં સરેરાશ ૫૯૧ ટેસ્ટિંગે એક પોઝિટિવ દર્દી આવે છે, જે રાજ્યમાં બોટાદ અને જામનગર જિલ્લા બાદ સૌથી વધુ છે.
જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૩૪, ઉત્તર ઝોનમાં ૧૧,૮૬૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૭૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૦૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. કોરોનાના કેસો વધી રહ્યા છે પણ કોરોના સાથે સંકળાયેલી કેટલીક પાયાની હકીકતો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી નથી.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૪૨૫ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૧૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.
Other News : ૧૮ ડિસેમ્બર સુધી યાત્રાધામ પાવાગઢ મંદિર અને રોપ-વે યાત્રાળુભક્તો માટે બંધ રહેશે