મુંબઈ : ટીવી સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા છે. રવિવાર (૩ મે)ના રોજ તેમના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. જોકે, પછી તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં તેમણે સ્પષ્ટતા કરી હતી. આટલું જ નહીં અરવિંદ ત્રિવેદીએ જાતે પણ પોતે સહી સલામત હોવાની વાત કહી હતી. અરવિંદ ત્રિવેદીએ કહ્યું કે, હું મર્યો નથી, ઠીક છું.
બધાને આવું કહી કહીને હેરાન થઈ ગયો છું. ખબર નહીં આ ન્યૂઝ ક્યાંથી આવ્યાં. રામ ભગવાનની દુઆથી મારી તબિયત બિલકુલ સારી છે અને બધાની જેમ જ હું લૉકડાઉનનું પાલન કરી રહ્યો છું. ટીવી પર ‘રામાયણ’ જોઈને મારો દિવસ પસાર કરું છું. વિચાર્યું નહોતું કે આજની જનરેશનને પણ ‘રામાયણ’ આટલું પસંદ આવશે અને મને લઈને પણ આ રીતની અફવાઓ ફેલાશે. હું પૂરી રીતે સહી સલામત છું. કૌસ્તુભ ત્રિવેદીએ કહ્યું હતું, તમામ વ્હાલા લોકો, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ પૂરી રીતે સારા અને સલામત છે. તમને વિનંતી છે કે તેમના નિધનના ખોટા સમાચાર ના ફેલાવો. મહેરબાની કરીને તેમના સકુશળ હોવાની વાત ફેલાવો. આભાર.