અત્યાર સુધી ૫૪૦૮ સંક્રમિતોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૨૨૮૬ લોકોના મોત…
નવી દિલ્હી : કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે હને અનલોક-૧ની જાહેરાત કરીને વધુ છૂટછાટો આપી છે ત્યારે આજે સોમવારે સવારે ૯ વાગે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૮૩૯૨ નવા કેસ નોંધાયા હતા. ગઇકાલે પણ ૮ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં હતા. છેલ્લા એક અઠવાડિયામાં ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ અટકવાને બદલે વધી રહ્યો હોય તેમ દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચવામાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૧૯૦૫૩૫ સુધી પહોંચી ગયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૯૨ નવા કેસ નોંધાયા છે. તે સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૯૦,૬૨૨ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૩૯૪ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૩૩૨૨ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી દેશભરમાં ૯૧,૮૫૫ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૬૭,૬૬૫ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીંયા ૨,૨૮૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૨૨,૩૩૩ સંક્રમિતો સાથે બીજા નંબરે છે
અહીં ૧૭૬ લોકોના મોત થયા છે. સાથે જ ૧૯,૮૪૪ સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. દરમ્યાનમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી દિલ્હીના તમામ બોર્ડર સીલ કરી દેવાશે. ત્યારબાદ લોકોના જે સૂચનો મળશે, તેના આધારે બીજો નિર્ણય લેવાશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૦૧૮૦ સેમ્પલની તપાસ કરાઈ છે. અત્યાર સુધી ૩૮,૩૭,૨૦૭ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. ૮ જૂનથી બિહારમાં ૪૫૦૦ ધાર્મિક સ્થળ ખૂલશે, મહાવીર મંદિર માટે ઓનલાઈન બુકિંગ કરાશે આજથી રોજ વધુ ૨૦૦ ટ્રેન દોડતી થઇ છે. દિલ્હી-નોઈડાની બોર્ડર હજુ પણ બંધ હોવાથી , જામ જેવી સ્થિતિ છે.