સુરત : ગત અઠવાડિયે કોરોના સંક્રમિત થયેલા સુરત શહેરના મેયર ડૉક્ટર જગદીશ પટેલને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ઓક્સિજન લેવલ ઘટ્યાં બાદ તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હૉસ્પિટલ ખાતે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કોઈ ચિંતાજનક વાત ન હોવાનું સામે આવ્યું છે, તેમજ ફક્ત તકેદારીના ભાગરૂપે તેમના દાખલ કરાયા હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ સુરતના મેયરને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારે થઈ રહ્યો છે. એટલું જ નહીં હવે તો કોરોનાની સારવાર કરતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો હોવાથી તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ શહેરમાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હાલ સ્કૂલો અને કૉલેજો બંધ હોવા છતાં આ સંખ્યા વધતા ચિંતા વધી છે. છેલ્લા ૧૦ દિવસમાં કુલ ૭૮ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.