ફર્ટિલાઇઝર કૌભાંડમાં ઇડીએ દરોડા પાડતા રાજકારણ ગરમાયું…
જયપુર : રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં નજીકનાં લોકો પર ગાળિયો કસાતો જઇ રહ્યો છે. ફર્ટિલાઇઝર કૌભાંડમાં ઈડીએ આજે અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. ઈડીનાં દરોડા સીએમ ગેહલોતનાં ભાઈ અગ્રસેન ગેહલોતનાં ત્યાં પણ ચાલી રહ્યા છે. ગત દિવસોમાં જ સીએમ અશોક ગેહલોતનાં ભાઈ અગ્રસેન ગેહલોતનાં નામે ફર્ટિલાઇઝર કૌભાંડ સામે આવ્યું હતુ. આરોપ છે કે અગ્રસેન ગેહલોતે ૨૦૦૭થી ૨૦૦૯ની વચ્ચે ખેડૂતો માટે લીધેલી ફર્ટિલાઇઝર પ્રાઇવેટ કંપનીઓને આપ્યું હતુ. આ દરમિયાન કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને રાજ્યમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે મ્યૂરિએટ ઑફ પોટાશ નિકાસ માટે પ્રતિબંધિત છે. એમઓપીને ભારતીય પોટાશ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને છૂટા દરો પર આપવામાં આવે છે. આરોપ છે કે ૨૦૦૭-૨૦૦૯ની વચ્ચે અગ્રસેન ગેહલોતે છૂટા દરો પર એમઓપી ખરીદી અને ખેડૂતોને વિતરણ કરવાની જગ્યાએ તેમણે આ કંપનીઓને વેચી દીધી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ૨૦૧૨-૧૩માં આનો ખુલાસો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનનાં તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં ભાઈની કંપનીએ કથિત રીતે સબસિડીવાળા ફર્ટિલાઇઝર નિકાસ કર્યા, જે ઘરેલૂ ઉપયોગ માટે હતા.
બીજેપીએ કહ્યું હતુ કે અગ્રસેન ગેહલોતની કંપનીએ દેશનાં ખેડૂતો માટે આયાત કરવામાં આવેલા ફર્ટિલાઇઝર, પોટાશને નિકાસ કર્યા હતા. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતુ કે, આ સબસિડીની ચોરીનો સ્પષ્ટ કેસ છે અને આ બધુ ૨૦૦૭થી ૨૦૦૯ની વચ્ચે થયું, જ્યારે કૉંગ્રેસનાં નેતૃત્વવાળી યૂપીએ કેન્દ્રમાં સત્તા પર હતી. તે સમયે અશોક ગેહલોત રાજસ્થાનનાં મુખ્યમંત્રી હતા. જે રીતે સસ્તા દર પર ફર્ટિલાઇઝર નિકાસ કરવામાં આવ્યું શંકા છે કે આ મની લૉન્ડ્રિંગનો કેસ હોઈ શકે છે.
મોદીએ દેશમાં રેડનું રાજ સ્થાપિત કર્યું છેઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ડરાવવા અને ધમકાવવા માટે ઇડીની રેડ પાડવામાં આવી રહી છે. તેઓએ લોકમતને પડકાર આપ્યો છે. તેઓએ ૨૦ અને ૨૧ જુલાઈના રોજ ઈનકમ ટેક્સ અને ઇડીની સાથે અમારા ધારાસભ્ય કૃષ્ણા પૂનિયા પાસે સીબીઆઇ મોકલી હતી. દિલ્હીમાં બેઠેલા લોકોનું દબાણ લાવવાનું આ એક હથિયાર છે. ૨૧ જુલાઈના રોજ મુખ્યમંત્રી ઓએસડીને સીબીઆઇએ બોલાવી છે. આજે અગ્રસેન ગેહલોત જે ન તો કોઈ રાજનીતિમાં છે ન તો કોઈ સરકારમાં, તેમના ઘરે ઇડીએ રેડ પાડી છે. મોદીના રાજમાં રેડ રાજ છે.તેનાથી રાજસ્થાન ડરવાનું નથી. રાજ્યના ૮ કરોડ લોકો ડરવાના નથી.