Charotar Sandesh
ગુજરાત

૩૨ વર્ષ બાદ કાળીચૌદશની પૂજા અને ચોપડાપૂજન રાતને બદલે દિવસે કરવાં પડશે…

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ૧૩ નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. ૧૩મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે ૬ વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે,
જે ૧૪ નવેમ્બરે શનિવારે બપોરે ૨.૧૮ વાગ્યા સુધી રહેશે. કાળીચૌદશની વિશિષ્ટ પૂજા, મંત્ર-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળીચૌદશમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ ૩૨ વર્ષ પછી આવી રહ્યો છે. ૧૪ નવેમ્બર, શનિવારે બપોરે ૨.૧૮ વાગ્યાથી દિવાળીની તિથિ શરૂ થાય છે, જે ૧૫ નવેમ્બરે રવિવારે સવારે ૧૦.૩૭ વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષનાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી શકાશે. તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર,
પડતર દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી. હિંદુ પંચાંગ મુજબ, નવું વર્ષ ૧૬ નવેમ્બર, સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જોકે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે. ભૌગોલિક પરિસ્થિતિ અને પંચાંગ અનુસાર કોઈ વખત તિથિનો ક્ષય થતો હોય છે.

Related posts

પરિસ્થિતિ કંટ્રોલમાં થાય તે બાદ શિક્ષણ શરુ કરવા નિર્ણય કરીશું : સીએમ રુપાણી

Charotar Sandesh

હાર્દિક પટેલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે…?

Charotar Sandesh

ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની ક્ષમતા ઉપર ભરોસો છે, ઐતિહાસિક વિજય કૂચ કરીશુંઃ પાટીલ

Charotar Sandesh