અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૩૦૦ની નજીક, તંત્રમાં એલર્ટ…
આજે શહેરમાં કોરોના પોઝિટિવના ૧૩ નવા કેસ નોંધાતા કુલ આંકડો ૨૯૫એ પહોંચ્યો,૨૧ લોકોને માસ્ક ન પહેરવાને લઇ દંડ ફટકારાયો…
અમદાવાદ : કોરોના વાયરસ અંગે મ્યુન્સિપલ કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ ૧૨ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યાં છે, જેમાંથી મધ્યઝોનમાં ત્રણ અને સાત કેસો દક્ષિણ ઝોનમાં જાહેર થયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૯૧એ પહોંચી ગઈ હોવાનું જણાવ્યું છે. તેઓએ કહ્યું કે સૌથી વધુ ૧૩૧ કેસ મધ્ય ઝોનમાં જ્યારે ૭૮ કેસ દક્ષિણ ઝોનના થાય છે. છેલ્લાં ૨૪ કલાકમાં એક મોત સાથે અમદાવાદમાં કુલ ૧૩ લોકોના મોત થયા છે. તેમજ ૧૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હોવાની માહિતી પણ તેઓએ આપી છે. નેહરાએ જણાવ્યું કે તંત્ર વધુને વધુ લોકોના ટેસ્ટિંગ થાય તે દિશામાં આગળ વધી રહ્યું છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધીમાં ૬ હજાર લોકોના સેમ્પલ લેવાયા છે.
મ્યુન્સિપલ કમિશનરે જણાવ્યું કે કોટ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૨૦ હજારથી વધુ લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યાં છે. વિજય નેહરાના દાવા મુજબ અમદાવાદમાં છેલ્લાં ૫ દિવસમાં કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. સામેથી કેસ શોધવામાં આવતા હવે કેસની સંખ્યામાં ઘટાડો થતો હોવાનું મ્યુન્સિપલ કમિશનરે જણાવ્યું છે. વિજય નેહરાએ વધુમાં શહેરમાં આજથી ફરજિયાત માસ્ક પહેરવાની જાહેરાતને સારો આવકાર મળી રહ્યો હોવાનું જણાવી લોકોનો આભાર માન્યો હતો. અને મોટા ભાગના લોકોએ માસ્કના નિયમોનું પાલન કર્યુ હોવાનું જણાવ્યું. સાથે જ એએમસીની ૨૬ ટીમોએ માત્ર ૨૧ લોકોને માસ્ક ન પહેરવાને લઈને દંડ ફટકાર્યો હોવાની માહિતી પણ તેઓએ આપી હતી.
વિજય નેહરાએ જણાવ્યું કે, કેસ ઘટવાને કારણે એએમસીને કામગીરી કરવાનો વધુ સમય મળ્યો છે. તંત્ર સાચી દિશામાં કામ કરી રહ્યું છે. પોલીસ પણ ખુબ સારૂ કામ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ૯૯ ટકા લોકો આજથી અમલમાં આવેલ ફરજીયાત માસ્કનું પાલન કરી રહ્યાં છે. માત્ર ૨૧ લોકો માસ્ક વગર મળ્યા તેને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, કોરોનાને અટકાવવો અશક્ય છે, પરંતુ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કમિશનરે કહ્યું કે, કોટ વિસ્તારમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. હવે લોકો પણ સહયોગ કરી રહ્યાં છે. સામાજીક અને ધાર્મિક આગેવાનો પણ સહકાર આપી રહ્યાં છે.