Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં અઠવાડિયું ક્યાંક ગરમીનું જોર વધશે તો ક્યાંક સૂસવાટા સાથે માવઠાની વકી…

અમદાવાદ : મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનથી સૂકા ગરમ પવનને કારણે રાજ્યમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો હતો. રવિવારે રાજ્યનાં ૮ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગીથી વધી ગયો હતો. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ૪૩.૧ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનું જોર યથાવત્‌ રહેવાની શક્યતા છે. બીજી તરફ રવિવારે બપોર બાદ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડામાં એકાએક ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. વરસાદને પગલે ઉનાળુ મગ સહિતના ખેતીપાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત થયા હતા. વરસાદને લીધે આકરી ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડવાની વકી છે. મંગળવાર બાદ આકાશ સ્વચ્છ થઇ જશે. મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી. રવિવારે તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો.
સતત તાપમાન વધવાના કારણે હિટ સ્ટ્રોકના કિસ્સા પણ વધ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હજુ આગામી દિવસમાં ગરમીનો પારો ઉંચો જશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.
અમદાવાદનું તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધી ૪૩.૧ ડિગ્રી પહોંચી ગયું હતું. જ્યારે રાજ્યની ગ્રીન સિટી ગાંધીનગરનું તાપમાન પણ ૪૧.૮ ડિગ્રીએ પહોંચી જતા લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થઇ ગયા હતા. અચાનક જ ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી જતા ડિ-હાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Related posts

અનલોક-2 : ગુજરાતમાં વેપાર-ધંધાનો સમય વધશે : કફર્યુ રાત્રે 10થી સવારે 5નો રહેશે…

Charotar Sandesh

સરકારે રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ માટે રૂ.૧૫૭૭૪ કરોડની ફાળવણી કરી…

Charotar Sandesh

મેટ્રો ટ્રેન પ્રોજેકટ : મુખ્યમંત્રીએ કહ્યું- કોંગ્રેસની સરકારમાં રાજ્યને થયો હતો અન્યાય…

Charotar Sandesh