ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૮ જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કર્યું છે. આ વેળાએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વતી આભાર માનું છું, વિશ્વના નકશા પર કેવડીયાનું નામ અંકિત કર્યું છે. કેવડિયામાં રેલ્વે સેવા શરૂ થઈ તે ખુબ મહત્વનું રહ્યું છે. કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો. આજે મોસાળમાં પીરસનાર છે તેનો ગુજરાતને લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત સરકારની અનેક દરખાસ્તને મંજુરી આપી છે.
નરેન્દ્ર મોદી દિલ્હીમાં હોવાને કારણે ગુજરાતને વિકાસના કામો મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો સોલર પાર્ક જેવા અનેક પ્રોજેક્ટ ગુજરાત સફળતાથી આગળ રહ્યા છે. ભારત સરકાર દ્વારા લાઈટ મેટ્રોનો વિચાર લાવી છે તેના કારણે ગુજરાતના નાના શહેરોને લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ફેઝ ૨ના મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું છે. મોટેરાથી ગાંધીનગરને જોડતા મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર ૨૨.૮ કિમિનું નિર્માણ કરવામાં આવશે. આ રૂટમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સીટીને જોડવામાં આવશે,
જેનું અંતર ૫.૪ કિમી રહેશે. ફેઝ ૨માં કુલ ૨૨ એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. જો કે, ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત ખાતેના ડાયમંડ બુર્સ ખાતે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યાં છે.