ડૉકટર અને નર્સોને સંક્રમિત નાગરીકના ટેસ્ટ સેમ્પલ લેતી વખતે સુરક્ષિત કેબીન ખૂબ જ ઉપયોગી બની રહેશે…
આણંદ : હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોરોનાના સંક્રમણમાં આવેલા નાગરીકોના ટેસ્ટ સેમ્પલની ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરીકોના સેમ્પલ લેવાય તે સમયે સેમ્પલ મેળવનાર વ્યક્તિની પણ સલામતી ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને કેનબેરા કેમીકલ્સ, નદેસરી જી.આઈ.ડી.સીના શ્રી બાબુભાઈ પટેલ અને શ્રી પ્રશાંતભાઈ દ્વારા સેમ્પલ લેવા માટે સુરક્ષીત કેબીનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને વડોદરામાં ૩ સ્થળો પર સુરક્ષીત કેબીનને ઉપયોગ માટે મુકવામા આવી હતી.
ત્યારે વર્તમાનમાં આણંદ જિલ્લામાં રહેલા કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંસદ શ્રી મિતેશભાઈના અનુરોધ પર દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ એકેડમી વડોદરા દ્વારા આણંદ જિલ્લામાં પણ ૪૮ કલાકના ટુંકાગાળામાં આ પ્રકારની કેબિન ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેમજ કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ અને આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી. છારી દ્વારા આ કેબિનની મંજુરી આપવામાં આવી હતી. જે બાદ આજે બાકરોલમાં આવેલ સમરસ હોસ્ટેલમાં કોરનટાઈન કરેલા નાગરીકોના સેમ્પલની કામગીરી માટે આ કેબિનને ઉપયોગમાં લેવામાં આવશે.
આરોગ્ય અધિકારી શ્રી એમ.ટી. છારીએ આણંદ જિલ્લો હાલમાં કોરોનાના સંક્રમણમાં ઓરેંન્જ ઝોનમાં આવેલ હોવાથી આ પ્રકારની કેબિન ડૉકટરો અને નર્સોને ખૂબ જ મદદરૂપ બનશે અને તેઓની સુરક્ષા પણ જળવાઈ રહેશે તેમ જણાવ્યું હતું.
હાલમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ હોમ કોરનટાઈન હોઈ પૂર્વ મંત્રી શ્રી રોહીતભાઈ પટેલે જિલ્લાના અગ્રણી શ્રી જયપ્રકાશભાઈ પટેલ, શ્રી નિરવભાઈ અમીનની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર આણંદને અર્પણ કરવામાં આવી.