શહેરના પોલસન ડેરી રોડ ઉપર મૌલાના મેન્શનમાં પરિવારના ૩ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરીને સમગ્ર વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ઘરાઈ…
આણંદ : શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલા મૌલાના મેન્શનમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ આવતાં જ ચકચાર મચી જવા પામી છે. આ સાથે જ આણંદમાં બે સક્રિય કેસો થતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. પોલસન ડેરી રોડ ઉપર કોરોના પોઝીટીવ આવતાં જ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરીને સીલ કરવાની દિશામાં તજવીજ હાથ ઘરી છે. સાથે-સાથે મૌલાના મેન્શનમાં રહેતા પરિવારના ૩ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર મૌલાના મેન્સનમાં રહેતા મૌલવી અબ્દુલહક ગુલામમહંમદ વ્હોરા ઉ.વ. ૮૦ નામના વૃદ્ધને તકલીફ થતા તેઓમાં કોરોના પોઝીટીવના લક્ષણો જણાયા હતા. જેથી તેઓને ત્વરીત સારવાર માટે વડોદરાની હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કોરોના પરીક્ષણ કરાતા આજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. કોરોના પોઝીટીવ આવતા આણંદના આરોગ્ય અધિકારી ડા. શાલીની ભાટીયા સહિત આરોગ્યના અધિકારીઓ તેમજ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને તેઓએ કોરોના પોઝીટીવ આવેલા દર્દીના મકાનમાં સભ્યોનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં આવેલી દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી.