એસ. એસ. ફ્લોરીસ્ટના કારીગર સુરોજીત મૈતી બેઝમેન્ટમાં હોય લાગેલી આગમાં સળગી ગયો
Anand : આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં ગઈકાલે રાત્રીના સુમારે લાગેલી પ્રચંડ આગમાં ફ્લોરીસ્ટનો કારીગર સળગીને ભડથું થઈ જવા પામ્યો હતો. આજે સવારે સાફ-સફાઈ દરમ્યાન તેની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં અચાનક આગે દેખા દેતાં તુરંત ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી જેથી બે ફાયર ફાયટરો ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને બેઝમેન્ટમાં તપાસ કરતા બે ગેસના બોટલો પણ મળી આવ્યા હતા. જેથી સમયસુકતા વાપરીને બન્ને બોટલો બ્લાસ્ટ થાય તે પહેલાં જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન આગને કારણે મોટી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતાં ઉપરના માળે એક બાળક સહિત ૧૫ જેટલા વ્યક્તિઓ ફસાઈ જવા પામ્યા હતા જેમને ફાયરબ્રીગેડની ટીમે રેસ્કયુ કરીને હેમખેમ બહાર કાઢી લીઘા હતા.
બીજી તરફ બેઝમેન્ટમાં અંધારુ હોય અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હોય ફાયરબ્રીગેડના જવાનોને પણ ભારે તકલીફ પડી હતી જો કે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. બેઝમેન્ટમાં નજીકમાં જ આવેલા એસ. એસ. ફ્લોરીસ્ટનો થર્મોકોલ સહિતનો માલસામાન રહેતો હતો જેમાં આગ લાગી હતી. આજે સવારના સુમારે બેઝમેન્ટમાંથી કાટમાળની સાફ-સફાઈ હાથ ઘરાઈ હતી જ્યાં ફોરીસ્ટમાં કામ કરતા કારીગર સુરોજીત રવીન્દ્રનાથ મૈતી (ઉ. વ. ૪૦)ની ભડથુ થઈ ગયેલી લાશ મળી આવી હતી.
જેથી તુરંત જ પોલીસને જાણ કરતા શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી.
Other News : RTI હેઠળ માહિતી આપવામાં ઠાગામૈયા કરવામાં આવતા ઉમરેઠ પાલીકાના ચીફ ઓફીસરને પાંચ હજારનો દંડ