આણંદની ડી. એન. હાઇસ્કૂલ ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારી બાળકો સાથે સંવાદ કર્યો
જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૧,૦૮,૮૫૮ બાળકોને વેકસિન આપી સુરક્ષિત કરાશે : જિલ્લામાં બપોરના ચાર વાગ્યા સુધીમાં ૧૬,૩૨૦ કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી
આણંદ : સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો-વયોવૃધ્ધો સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી સમગ્ર રાજયમાં આજથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેકસિનેશન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ અભિયાન અંતર્ગત આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને વેકસિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે આણંદ જિલ્લામાં શાળાએ જતા ૮૪,૩૯૮ અને શાળાએ ન જતા હોય તેવા ૨૪,૪૬૦ બાળકો મળી કુલ ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ શહેરની ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઇસ્કૂલ ખાતે વેકસિનના પ્રારંભ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ શાળામાં બાળકોને આપવામાં આવી રહેલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ બાળકોનો ઉત્સાહ વધારી તેઓની સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રદીપભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી નિવોદિતા ચૌધરી, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કુલશ્રેષ્ઠ, ચરોતર એજયુકેશન સોસાયટીના કે. ડી. પટેલ, ડી.એન.હાઇસ્કૂલના આચાર્ય શ્રી ખુશાલભાઇ સિંધી, હાઇસ્કૂલના શ્રી આશિષભાઇ પરમાર અને પરેશભાઇ પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આણંદ : ૧પ થી ૧૮ વર્ષના કિશોરોને રસીકરણ અંગે જિલ્લા વહીવટી-આરોગ્ય તંત્રએ કરી આ અપીલ, જાણો