મુંબઇ : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સિનિયર કહી શકાય એવા નેશનલ ઍવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન થયું છે. અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ ૭૫ વર્ષની વયે મુંબઈમાં મૃત્યું થયું છે.
ચંદ્રકાંત પંડ્યાએ રામાયણ સીરિયલમાં નિષાદરાજની ભૂમિકા બજાવી હતી. ત્યારથી તેઓ જાણીતા બન્યા હતા. સીરિયલની સાથોસાથ તેમણે ગુજરાતી ફિલ્મમાં પણ સારો અભિનય કર્યો હતો. મુંબઈ ખાતે એમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે ચંદ્રકાંત પંડ્યાનું યોગદાન ભૂલી શકાય એમ નથી. ઘણું મોટું યોગદાન એમનું રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ’માનવીની ભવાઈ’ માટે તેમને રાષ્ટ્રીય ઍવોર્ડ મળ્યો હતો.
ગુજરાતી ફિલ્મ જગતમાં ૧૦૦થી વધારે ફિલ્મમાં કામ કર્યું હતું
આ સિવાય ગુજરાતી ધાર્મિક, સામાજિક તથા નાટકોમાં કામ કર્યું છે. ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે થયો હતો. તા.૧ જાન્યુઆરી ૧૯૪૬માં જન્મેલા ચંદ્રકાંતના પિતા મગનલાલ પોતાના વેપાર હેતું મુંબઈ ગયા હતા. પછી ત્યાં જ સ્થાઈ થઈ ગયા હતા. બાળપણથી જ ચંદ્રકાંતને નાટકમાં અને એક્ટિંગમાં રસ હતો. બીએ સુધીનો અભ્યાસ કર્યા બાદ અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથએ નાટકમાં કામ કરવાની તક મળી હતી.બસ અહીંથી એમની એક્ટિંગ કેરિયરની શરૂઆત થઈ હતી. ચંદ્રકાંત પંડ્યાને સાત જુદા જુદા ઍવોર્ડ પણ મળ્યા હતા.
’શોલે’ ફિલ્મના અમઝદ ખાન એમના ગાઢ મિત્ર રહ્યા છે. ’કાદુ મકરાણી’ એમની પહેલી ફિલ્મ રહી છે. આ પછી તેમણે ગુજરાતી ફિલ્મ અભિનય ક્ષેત્રે પાછું વળીને જોયું નથી. ’જુવાનીના ઝેર’ ફિલ્મમાં તેઓ એક લીડ રોલમાં રહ્યા હતા. ’મહિયરની ચૂંદડી’,’શેઠ જગડુશા’, ’ભાદર તારા વહેતા પાણી’, ’સોનબાઈની ચુંદડી’, ’પાતળી પરમાર’ સહિત ૧૦૦થી વધારે ફિલ્મોમાં એક્ટિંગ કરીને અનેક લોકોના દિલમાં સ્થાન કાયમ કર્યું હતું.
Other News : ભારત આવતા તમામ પ્રવાસીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત રજુ કરવો પડશે, વાંચો વિગત