આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી : કારણ અકબંધ… આર્થિક સંકળામણમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન…
આણંદ : શહેરના બોરસદ ચોકડી વિસ્તારમાં એકતા નગર પાછળ યુવકે પોતાની બે માસૂમ દીકરીઓ ૬ વર્ષની માનસી અને ૩ વર્ષની પ્રિયાંશીની હત્યા કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે, આ બાબતે આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરા તાલુકાના દુધાવાળા ગામના અને હાલ સેન્ટર વેરહાઉસની પાછળ આવેલ વિસ્તારમાં રહેતા ચીરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિ ઉ.વ. ૩૦ આણંદ ખાતે નાની મોટી મજુરીકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. આ આત્મહત્યા કરનાર યુવકની પત્નીનું છ માસ પૂર્વે અવસાન થયું હતું, હાલ તે પોતાની બે દીકરીઓ અને છ માસના બાળક સાથે રહેતો હતો. ત્યારે ગત રાત્રિના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાની બે દીકરીઓની હત્યા કરી પોતે પણ દોરડાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બાબતે હજુ કોઈ કારણ બહાર આવેલ નથી, ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.