આ વખતે ત્રણ ટકા જેટલું ઓછું થયેલું મતદાન ભલભલા ગણિત ઉંધા પાડી શકે તેમ છે
આણંદ વિધાનસભા બેઠક પર આ વખતે પણ કોંગ્રેસના કાન્તીભાઈ સોઢા પરમાર અને ભાજપના યોગેશભાઈ પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. જો કે આ વખતે ત્રણ ટકા જેટલું ઓછું થયેલું મતદાન ભલભલા ગણિત ઉંધા પાડી શકે તેમ છે. બીજી તરફ કેટલાક અપક્ષો કેટલા મતો કોના બગાડે છે તેના પર આકલન કરવું રાજકીય પંડિતો માટે પણ મુશ્કેલભર્યું હોય આ બેઠક પર કોણ જીતશે કે કળી શકાતુ નથી. ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ હારજીત પણ આ વખતે નજીવા માર્જીનથી જ હશે તેમ લાગી રહ્યું છે
આણંદની ચૂંટણી શાખા દ્વારા ગઈકાલે બપોરના સુમારે જિલ્લામાં થયેલા મતદાનના ચોક્કસ આંકડા જારી કરવામાં આવ્યા હતા. જેમાં આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં કુલ ૬૮.૪૨ ટકા જેટલું મતદાન નોંધાયુ છે. જિલ્લાના કુલ ૧૭.૬૬ લાખ મતદારોમાંથી ૫.૫૭ લાખથી વધુ મતદારોએ કોઈને કોઈ કારણોસર મતદાન કર્યુ નથી. આણંદ બેઠક પર ૬૧.૧૩, ખંભાતમાં ૬૭.૬૧, બોરસદમાં ૬૯.૩૧, આંકલાવમાં સૌથી વધુ ૭૪.૧૨, ઉમરેઠમાં ૬૮.૪૪, પેટલાદમાં ૭૦.૮૩ અને સોજીત્રામાં ૬૭.૪૨ ટકા મતદાન નોંધાયું છે.
આણંદ વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણ શહેરો આણંદ, કરમસદ અને વિદ્યાનગર ઉપરાંત ૧૫ ગામોમાં મતદાન મથક દીઠ આંકડાઓ આવી જતાં રાજકીય પક્ષો દ્વારા કયા બુથમાંથી કોને કેટલા મતો મળી શકે છે તેનું આંકલન કરી રહ્યા છે. બીજી તરફ આણંદ વિધાનસભામાં સમાવિષ્ટ ગામો પૈકી ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમારના ગામ વાંસખીલીયામાં સૌથી વધુ ૮૩.૪૯ ટકા મતદાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછું આણંદ શહેરમાં ૫૬.૮૮ ટકા નોંધાયું છે. વાંસખીલીયા ગામના બુથ નં. ૩માં વિધાનસભાનું સૌથી વધુ ૮૬.૩૧ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે બીજા ક્રમે કરમસદના દેવરાજપુરા વિસ્તારના બુથ નં. ૧૧માં ૮૨.૬૬ ટકા મતદાન નોંધાયું હતું.
Other News : વિદ્યાનગરમાં આવતીકાલે થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ૭ બેઠકોની મતગણતરી થશે, જુઓ વિગત