પવનની ગતિ ૧૦ થી ૧૨ કીમીની રહેનાર હોય દિવસે પણ કોલ્ડવેવ જેવો અનુભવ થશે
આણંદ : જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે-પગલે આણંદ સહિત સમગ્ર ચરોતરમાં શીતલહેર ફરી વળવા પામી છે અને કાતિલ ઠંડથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે ત્યારે હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ૩૧મી જાન્યુઆરી સુધી હાડ થીજાવતી ઠંડી પડનાર છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે મહત્તમ તાપમાન ૨૬ ડીગ્રી, લઘુત્તમ ૧૦.૮ ડીગ્રી, ભેજના ટકા ૭૫ અને પવનની ગતિ ૪.૬ પ્રતિ કલાકની નોંધાવા પામી છે. જો કે ત્યારબાદ પવનની ગતિ વધીને ૧૬ પ્રતિ કિમીની થઈ જતાં સવારે ૧૧ કલાકે તાપમાન ૨૦ ડીગ્રી થઈ જવા પામ્યું હતુ. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી ૩૧મી સુધી લઘુત્તમ તાપમાન ૯ થી ૧૨ ડીગ્રીની વચ્ચે રહેનાર છે. ૨૩ અને ૨૪મી જાન્યુઆરી દરમ્યાન પારો સીંગલ ડીજીટ એટલે કે ૯ ડીગ્રી થઈ જવાની પણ શક્યતા જોવાઈ રહી છે.
આ દરમ્યાન પવનની ગતિ સરેરાશ ૧૦ થી ૧૨ની પ્રતિ કલાકની રહેશે જેને લઈને દિવસે પણ શીતલહેર જેવો અનુભવ થનાર છે. ૧લી ફેબ્રુઆરી બાદ લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડીગ્રીના ઉછાળા સાથે ક્રમશઃ ઠંડીમાંથી છુટકારો મળશે તેમ મનાઈ રહ્યું છે.
છેલ્લા ૧૫ દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીને કારણે ઘંઉના પાકને સારો એવો ફાયદો થનાર છે. ખાસ કરીને ભાલ પંથકમાં પાકતા ભાલીયા ઘંઉના પાકનો ઉતારો સારામાં સારો મળી રહેશે તેવો ખેડૂતોને આશાવાદ છે.
Other News : રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન